યાત્રાધામ અંબાજી નજીક બનેલી પાડલીયાની ઘટના તેમજ પાલનપુરમાં બનેલી હત્યાની ઘટના બાદ પોલીસ વધુ સતર્ક બની છે. અંબાજી પંથકમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇન્ચાર્જ પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ અંબાજી પોલીસ સ્ટાફ દ્વારા દરરોજ સાંજના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મચારીઓ સીધા જમીન સ્તરે જઈને શંકાસ્પદ સ્થળોની તપાસ કરી રહ્યા છે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવને અટકાવી શકાય અને સ્થાનિક નાગરિકો તેમજ યાત્રાળુઓમાં સુરક્ષાની ભાવના પ્રબળ બને. પોતે સુરક્ષક્ષિત મહેસુસ કરી શકે એટલુંજ નહિ, પોલીસ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અસામાજિક તત્વો સામે પણ લાલ આંખ કરી રહી છે.
આ સુરક્ષા અભિયાનના ભાગરૂપે અંબાજી પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિકના નિયમો તોડનારા અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજની કાર્યવાહી દરમિયાન કાળા કાચ ધરાવતા વાહનો, માર્ગ અકસ્માતને નોતરતા ભયજનક ડ્રાઇવિંગ અને પ્રોહિબિશનના કેસો શોધી કાઢીને સ્થળ પર દંડ તેમજ વાહન જપ્ત કરવા જેવી કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ આક્રમક કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


