દેશભરમાં આજે “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી, ઉત્તરપ્રદેશ ખાતેથી પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી હતી. રાજ્યના ૫૨.૧૬ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.૧૧૧૮ કરોડથી વધુની રકમ હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ કરાયુ હતું. વડાપ્રધા દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને ૨૦મો હપ્તો રીલીઝ કરવામાં આવ્યો હતો.
બનાસકાંઠાના ડીસા સ્થિત માલગઢ ખાતેથી જિલ્લા પ્રભારી તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ” ઉજવાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી, ઉત્તરપ્રદેશ ખાતેથી પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી એ કાર્યક્રમનું તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલ “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ” નું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતુ. બનાસકાંઠા જિલ્લામાં અંદાજે કુલ ૪ લાખ ખેડૂતોને ૨૦મા હપ્તા પેટે રૂ. ૨૦૦૦/- લેખે કુલ રૂ. ૮૦ કરોડ સહાયની રકમ DBT મારફતે ચૂકવણી કરાઈ હતી.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભના પૂર્વ મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી કરતા તથા લાભાર્થી ખેડૂતોએ મંચ પરથી પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા.

