અમેરિકામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના મોત

અમેરિકામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના મોત

અમેરિકાના કેન્ટુકીના લુઇસવિલેમાં એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે એક વિશાળ કાર્ગો વિમાન ક્રેશ થયું અને તેમાં વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા. માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ કાર્યકર્તાઓ અકસ્માત બાદ અન્ય લોકોની શોધ કરી રહ્યા છે. મંગળવારે સ્થાનિક સમય મુજબ સાંજે 5:15 વાગ્યે જ્યારે વિમાન લુઇસવિલેના મુહમ્મદ અલી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર યુપીએસ વર્લ્ડપોર્ટથી હોનોલુલુ જવા રવાના થઈ રહ્યું હતું ત્યારે વિમાન દુર્ઘટના બની હતી.

લુઇસવિલેના મેયર ક્રેગ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે બચાવ કાર્યકરો ઘટનાસ્થળે કામ ચાલુ રાખી રહ્યા છે. “અમે અમારા બધા ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ ચાલુ રાખીશું,” તેમણે બુધવારે સવારે WLKY-TV ને જણાવ્યું. ઘટનાના વીડિયોમાં વિમાનની ડાબી બાજુએ આગની જ્વાળાઓ અને ગાઢ ધુમાડો દેખાય છે. ત્યારબાદ વિમાન થોડા સમય માટે જમીનથી ઉપર ઊઠ્યું, પછી ક્રેશ થયું અને આગમાં ભડકી ગયું.

મેયર ક્રેગ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે વિમાનમાં મોટી માત્રામાં જેટ ઇંધણ હતું જે આ અકસ્માતનું મુખ્ય કારણ હતું. “મારી માહિતી મુજબ, વિમાનમાં આશરે 280,000 ગેલન ઇંધણ હતું,” તેમણે ઉમેર્યું હતું કે મોટી માત્રામાં ઇંધણના કારણે ભીષણ આગ લાગી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી નજીકની ઇમારતો હચમચી ગઈ અને ઘણા ઘરોની બારીઓ તૂટી ગઈ.

બુધવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે કેન્ટુકીમાં ટેકઓફ પછી કાર્ગો પ્લેનના ડાબા પાંખમાં આગ લાગી હતી. ક્રેશ અને વિસ્ફોટ પહેલા તેના એક એન્જિનનો પાવર ખોરવાઈ ગયો હતો. ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે કોઈ પણ બચી ગયેલા વ્યક્તિને શોધવાની શક્યતા ઓછી છે. તપાસ ટીમના વડા ટોડ ઇનમેને જણાવ્યું હતું કે પ્લેનને ઉડાન ભરવા માટે મંજૂરી મળ્યા પછી તેના ડાબા પાંખમાં ભીષણ આગ લાગી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *