89.10 કરોડ ના ખર્ચે બનેલ બ્રિજ ક્ષતિગ્રસ્ત બનતા ભયભીત લોકોએ ઉઠાવ્યા સવાલ

89.10 કરોડ ના ખર્ચે બનેલ બ્રિજ ક્ષતિગ્રસ્ત બનતા ભયભીત લોકોએ ઉઠાવ્યા સવાલ

એકબાજુનો માર્ગ બંધ કરી મરામત હાથ ધરાઈ: એક સપ્તાહ કામ ચાલશે

પાલનપુરમાં ગુજરાતના પ્રથમ થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું આજથી એક વર્ષ અગાઉ લોકાર્પણ થયું હતું. જે રૂ.89.10 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા તંત્ર દોડતું થઈ ગયું છે. ત્યારે ભયભીત બનેલા લોકોએ બ્રિજની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા. આજથી ઠીક એક વર્ષ અગાઈ 12 સપ્ટેમ્બર-2024માં પાલનપુર ના જુના આરટીઓ સર્કલ પર થ્રી લેગ એલીવેટેડ બ્રિજનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું હતું. જે બ્રિજના જોઈન્ટમાં ગેપ પડતા બ્રિજ ક્ષતિગ્રસ્ત બન્યો હતો. જેને લઈને દોડતા થયેલા તંત્ર દ્વારા બ્રિજ નો એક માર્ગ બંધ કરી મરામતની કામગીરી હાથ ધરવા માં આવી છે. ત્યારે બ્રિજ પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓને શાળાએ લેવા મુકવા જતા વાલીઓ દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરી રહ્યા હોવાનું હિમાંશુભાઈ નામના વાલીએ જણાવ્યું હતું.

જોકે, આ બ્રિજ શરૂઆતથી જ વિવાદમાં રહ્યો છે. બ્રિજના નિર્માણ સમયે ગડરો પડી જવાથી બે વ્યક્તિઓ મોતને ભેટી હતી. ત્યારે ભારે વિરોધ થતા સરકારે બ્રિજ બનાવનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની ફરજ પડી હતી. જોકે, એક જ વર્ષમાં બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા લોકોએ બ્રિજની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા. વાહનચાલકોએ પણ તંત્રની બેદરકારી સામે ઉભરો ઠાલવ્યો હતો.

જોકે, તંત્ર દ્વારા બ્રિજના એક્સપાન્શન જોઈન્ટ બદલવા ની કામગીરી રૂટિન હોવાનું જણાવી મરામત કામગીરી હાથ ધરી છે. બ્રિજનો એક માર્ગ બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો વચ્ચે આ કામગીરી એક સપ્તાહ ચાલશે. ત્યારે બ્રિજની ગુણવત્તાને લઈને આશંકા વ્યક્ત કરતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

તંત્રનો એક્શન ટેકન રિપોર્ટ, 7 દિવસ બાદ ટ્રાફિક શરૂ થશે; પાલનપુરના જુના આરટીઓ સર્કલ પર પાલનપુરથી આબુ અને અંબાજીને જોડતા થ્રી લેગ એલિવેટેડ બ્રિજ ક્ષતિગ્રસ્ત બન્યો હોવાના અહેવાલો વચ્ચે રાષ્ટ્રીય ધોરી માર્ગ પેટા વિભાગ ઇડરના નાયબ કાર્યપાલક ઈજનેર અને  રાષ્ટ્રીય ધોરી માર્ગ અમદાવાદ વિભાગના કાર્યપાલક ઇજનેરે રજૂ કરેલ એક્શન ટેકન રિપોર્ટ મુજબ, પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર LC 165 ખાતે આવેલ મેજર બ્રિજમાં એક્સપાન્શન જોઈન્ટ બદલવાની કામગીરીને બ્રિજ મરામતની જરૂર પડે કરવામાં આવતી સામાન્ય કામગીરી ગણાવી છે. આ કામગીરી માટે અંબાજી થી પાલનપુરના લેગ પરની ટ્રાફિક મુવમેન્ટ અટકાવવા આવી છે. જ્યારે પાલનપુરથી આબુરોડ, અંબાજી કે અંબાજીથી આબુ રોડ નો ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ છે.  જોઈન્ટ બદલવાની કામગીરી બે દિવસમાં પૂર્ણ કરવાનું તંત્રનું આયોજન છે. જોકે, બ્રિજ પર ટ્રાફિક શરૂ કરવા માટે તંત્રએ સંભવિત 7 દિવસ બાદ 18 મી સપ્ટેમ્બર મુકરર કર્યો હોવાનું રિપોર્ટમાં જણાવ્યું છે. જોકે, એક જ વર્ષમાં જોઈન્ટ બદલવાની કામગીરી કેમ કરવી પડી તે અંગે રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *