પાટણ શહેરના બગવાડા ચોકમાં શુક્રવારે સાંજે નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાંજે 4 વાગ્યાના સુમારે સિદ્ધરાજ જયસિંહના પૂતળા પાસે કેટલાક લોકોએ ‘પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર હાય હાય’ના નારા લગાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન દરમિયાન આ લોકોએ રસ્તાની વચ્ચે ઘાસનું બનાવેલું પૂતળું સળગાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને જોઈને ટોળું વિખેરાઈ ગયું હતું. પોલીસે તાત્કાલિક પાણી છાંટીને પૂતળામાં લાગેલી આગ બુઝાવી દીધી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આ કૃત્ય કલેક્ટર કે અન્ય કોઈ અધિકારીની મંજૂરી વિના કરવામાં આવ્યું હતું. રસ્તા પર પૂતળું સળગાવવાથી રાહદારીઓની સલામતી જોખમમાં મુકાઈ હતી. પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગ બદલ અંદાજે 15 થી 20 અજાણ્યા લોકો સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

