પાંથાવાડા પંથકમાં પારિવારીક ઝઘડો હિંસક બન્યો ; મહિલા સહિત ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

પાંથાવાડા પંથકમાં પારિવારીક ઝઘડો હિંસક બન્યો ; મહિલા સહિત ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પંથકમાં પરિવારીક અણબનાવ હિંસક બનતા મહિલા સહિતના લોકોને ઇજાઓ પહોંચ્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પાંથાવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. 45 વર્ષીય મહિલાએ હાલમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના લગ્ન અંદાજે પચ્ચીસ વર્ષ પહેલાં પાંથાવાડા પંથકના યુવક સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં ત્રણ દિકરાઓ છે. ફરીયાદ મુજબ છેલ્લા કેટલાક સમયથી પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરીયાદ મુજબ તા. 21/02/2026ને શનિવારના રોજ સાંજે અંદાજે 5:30 વાગ્યાના સમયે પતિ પ્રવિણભાઈ ઈશ્વરભાઈ પુજાણી, દિયર મહેન્દ્ર ઈશ્વરભાઈ પુજાણી, ભાવાભાઈ કરશનજી રબારી તથા એક અજાણ્યો વ્યક્તિ સાસરીમા પિતાના ઘરે ગયા હતા. દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

ઘટનામાં ફરીયાદીને ડાબા હાથમાં ઇજા પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ છે. વચ્ચે પડવા આવેલા તેમના ભાઈ દિનેશભાઈ કરમીભાઈ ડાભીને માથા, પગ તથા હાથના ભાગે માર મારતા ગંભીર ઇજાઓ થઈ હોવાનું જણાવાયું છે. તેમજ પિતા કરમીભાઈ માવાભાઈ ડાભી અને તેમની માતાને પણ માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે પાંથાવાડા સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. દિનેશભાઈને વધુ ઇજા હોવાને કારણે આગળની સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે.

આ બનાવ અંગે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જૉકે મળતી વિગતો મુજબ પારિવારિક ઝગડામાં બન્ને પક્ષે સામસામે મારામારી થઇ હોવાનું જાણવા મળ્યું છે.મારામારીમાં બંને પક્ષોને ગંભીર ઈજાઓ થતાં હાલમાં તો સારવાર લઈ રહ્યા છે. પાંથાવાડા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *