પાલનપુર માન સરોવરનું ફેબ્રુઆરી માસમાં લોકાર્પણ કરાશે

પાલનપુર માન સરોવરનું ફેબ્રુઆરી માસમાં લોકાર્પણ કરાશે

આઠ કરોડના ખર્ચે માનસરોવરની કાયાપલટ પણ ગેરરીતિની રાવ

પાલનપુરની ઐતિહાસિક ધરોહર માનસરોવર તળાવનું બ્યુટીફિકેશન અંતિમ ચરણોમાં છે અને તેનું ફેબ્રુઆરી માસમાં લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. પાલનપુરનું ઐતિહાસિક તળાવ કે જેનું પાણી એક સમયે પીવા માટે વપરાતું હતું પરંતુ  તે તળાવમાં શહેરનું ગટરનું પાણી ઠલવાતા  ગંદકી અને દુર્ગંધથી ખદબદી ઉઠ્યું હતું. તળાવમાં  વસતા જળચર જીવોનો તળાવમાં ઊગી નીકળેલ જળકુંભીના લીધે જીવ જોખમમાં મુકાતા પાલનપુરના શિક્ષક રવિ સોની દ્વારા જળકુંભી હટાવી જળચર જીવોને નવજીવન આપવા માટે બીડુ ઉપાડ્યું હતું જે બાદ પાલનપુર નગરપાલિકા દ્વારા ઐતિહાસિક તળાવની કાયાપલટ કરી તેને પાલનપુરમાં એક પર્યટક સ્થળ બનાવવા માટે અંદાજિત 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં  એક કિલોમીટરનો વોકિંગ ટ્રેક, ગાર્ડન, બાળકો માટે રમતગમત માટે હીંચકા, લપસણી , વડીલ વૃદ્ધો માટે બેસવા લાયક જગ્યા સહિતની સુવિધાથી  તળાવને વિકસિત કરવામાં આવ્યું છે.

પરંતુ રવિ સોની દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા નગરપાલિકા દ્વારા માનસરોવર  તળાવના  કાયાપલટમાં કાર્યની ગુણવત્તાને લઈને વેઠ ઉતારી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.  તળાવમાંથી 30 લાખ રૂપિયાની ખનીજ ચોરી કરી હોવાની, સાથે જ તળાવમાં રહેલ જળચર જીવો પણ મારી નાખ્યા હોવાના આક્ષેપો કર્યા હતા.  બાળકો માટે બનાવવામાં આવેલા હીંચકા લોકાર્પણ કરતા પહેલા જ તૂટી જતા વેલ્ડિગ કરવાની ફરજ પડતા રિનોવેશનની કામગીરીને લઈને સવાલ ઉભા થયા છે. રવિ સોની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર ચોમાસામાં એક દિવસમાં 7-8 ઈંચ વરસાદ પડતા જ માનસરોવરની કાયાપલટમાં રહેલ પોલ ખૂલી જશે.  માનસરોવર તળાવમાં  અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો બનાવ્યો હોઈ  ત્યાં આગળ  વિવિધ પ્રકારની સુવિધાઓને નુકશાન કરવામાં આવતું હોવાની પણ રાવ ઉઠી છે. જો કે પાલનપુર નગરપાલિકા દ્વારા માનસરોવરનું ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં લોકાર્પણ થાય તે પ્રમાણે રીનોવેશનની કામગીરી પૂર ઝડપે કરવામાં આવી રહી છે જેને લઈને બાકીના કાર્ય ઝડપી પૂર્ણ કરવામાં આવશે.

તળાવના જળચર જીવોનું જીવન જોખમમાં

માન સરોવર તળાવમાં ગટરનું દૂષિત પાણી ઠાલવવાનું બંધ થતા હવે તળાવમાં રહેલ પાણી ધીમે ધીમે સુકાઈ રહ્યું છે આ સાથે જ આવનારા ઉનાળામાં તળાવ સંપૂર્ણ સુકાઈ જવાની શક્યતાઓ સેવાઈ  રહી છે. જેને કારણે તળાવમાં રહેલ જળચર જીવોના જીવન સામે જોખમ તોળાઈ રહ્યું છે જેને લઈને જીવદયા પ્રેમીઓ દ્વારા તળાવમાં રહેલ જીવોને બચાવવાં માટેની માંગ ઉઠી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *