કસુરવારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ
ડીસાના ગાયત્રી સર્કલથી સ્પોર્ટ્સ ક્લબ તરફ જતા રોડ પર ગાયના વાછરડાનું માથું અને પગ કાપેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનો અને જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાછરડાના માથા અને પગને પોસ્ટમોર્ટમ માટે પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા. આ મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ વિનોદભાઈ લોઢાએ ઉત્તર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે.
સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે જો કોઈએ વાછરડાની હત્યા કરી હોય, તો હત્યારાને શોધી કાઢી ગૌહત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. આ ઉપરાંત, જો કોઈ પશુ માલિકે વાછરડાને રસ્તા પર છોડી દીધું હોય અને શ્વાન દ્વારા તેને ફાડી ખાવામાં આવ્યું હોય, તો તે માલિક સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે.આ ઘટનાએ ફરી એકવાર રખડતી ગાયો અને પશુઓના માલિકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉભી કરી છે. લોકોનું કહેવું છે કે પવિત્ર શ્રાવણ માસમાં આવી ઘટના બનવી એ હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

