પાલનપુર બાર એશોસીએશને ઠરાવ કરી જતાવ્યો વિરોધ: નગરજનોને લડતમાં જોડાવવા અપીલ; બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત જિલ્લા અદાલત ને જગાણા ખસેડવાની હિલચાલ સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. આજે પાલનપુર બાર એસોસીએશન દ્વારા પણ અદાલતોને જગાણા ખસેડવા સામે વિરોધ જતાવવામાં આવ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ના જોરાવર પેલેસમાં જિલ્લા અદાલત સહિતની તમામ કોર્ટો આવેલી છે. જે અદાલતોને પાલનપુરથી સાતેક કિલોમીટર દૂર જગાણા ગામમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. જેની સામે હવે વકીલોએ પણ મોરચો માંડ્યો છે. પાલનપુર બાર એસોસિએશન દ્વારા કોર્ટો જગાણા ખસેડવાનો વિરોધ કરતો ઠરાવ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.
જોકે, કોર્ટ સંકુલ જગાણા ખસેડવાથી જિલ્લાભરના પક્ષકારો પર આર્થિક બોજો વધશે. જેથી શહેરની વિવિધ સંસ્થાઓ અને પ્રજાજનો પણ કોર્ટોના સ્થળાંતર સામે જાગૃત બની લડતમાં જોડાય તેવી લાગણી બાર એસોસિએશનના પ્રમુખ સતીશ ચૌધરી અને મંત્રી પ્રકાશ ધારવાએ વ્યક્ત કરી હતી. જોકે, વકીલોએ કોર્ટોના સ્થળાંતર સામે લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે તંત્ર શુ નિર્ણય લેશે તે તો જોવું રહ્યું..!

