ડીસામાં કરોડોના ખર્ચે બનેલો નાનાજી દેશમુખ ગાર્ડન જર્જરિત; જાળવણી પર લોકોમાં સવાલો ઉઠ્યા

ડીસામાં કરોડોના ખર્ચે બનેલો નાનાજી દેશમુખ ગાર્ડન જર્જરિત; જાળવણી પર લોકોમાં સવાલો ઉઠ્યા

​ડીસા નગરપાલિકા દ્વારા રૂ. 2 કરોડના ખર્ચે બનાવેલો નાનાજી દેશમુખ ગાર્ડન હાલ દયનીય સ્થિતિમાં છે. આ ગાર્ડનના મેઈન્ટેનન્સ માટે દર મહિને રૂ.2.10 લાખનો ખર્ચ ચૂકવવામાં આવે છે, છતાં પણ તેની યોગ્ય જાળવણી થતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિએ પાલિકાના વહીવટ પર પણ સવાલો ઊભા કર્યા છે. ગાર્ડનમાં બાળકો માટે મૂકવામાં આવેલા રમતના સાધનો તૂટી ગયા છે, સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે, અને શૌચાલય પણ જર્જરિત થઈ ગયા છે. બગીચામાં ઝાડની નિયમિત કાપણી પણ થતી નથી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે પીવાના પાણીની ટાંકીમાં પોરા અને લીલ જામી ગયા છે, જેના કારણે મુલાકાતીઓના આરોગ્યને જોખમ થઈ શકે છે.​આ સ્થિતિ પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે ઊભી થઈ હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે.

ડીસા પાલિકાના બાગ-બગીચા સમિતિના ચેરમેન મધુબેન કેલાએ આ મામલે પાલિકા કચેરીમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. તેમણે કોન્ટ્રાક્ટર અને સત્તાધીશો પર ગેરરીતી આચરવાનો સીધો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત, ‘શાન-એ-તિરંગા’ ગ્રુપના સભ્યોએ પણ નાનાજી દેશમુખની પ્રતિમાની દયનીય હાલત જોઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે રાજ્ય સરકાર પાસે આ મામલે કોન્ટ્રાક્ટર, પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

​ગાર્ડનનો વિવાદિત ઇતિહાસ; નાનાજી દેશમુખ ગાર્ડન તેના નિર્માણથી જ વિવાદોમાં રહ્યો છે. સરકારી જમીન પર બનેલા આ ગાર્ડનને એક સમયે સીલ કરી દેવામાં આવ્યો હતો, જેના પગલે સ્થાનિક નાગરિકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે ગાર્ડનને જનતા માટે ફરીથી ખોલવાનો આદેશ આપ્યો હતો. આ પછી, ગાર્ડનમાં આગ લાગવાની ઘટના પણ બની હતી, જેમાં તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારબાદ પાલિકાએ ફરીથી લાખો રૂપિયાના ખર્ચે તેનું સમારકામ કરાવ્યું હતું, પરંતુ જાળવણીના અભાવે આજે તેની હાલત ફરીથી બગડી ગઈ છે.​આ સમગ્ર મામલો સૂચવે છે કે ડીસા પાલિકામાં મેનેજમેન્ટનો અભાવ છે અને સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો નથી, જેના કારણે શહેરના વિકાસ કાર્યો પર અસર થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *