ડીસાના કણજરા ગામની દૂધ મંડળીના સંચાલકો સામે મનમાનીના આક્ષેપો

ડીસાના કણજરા ગામની દૂધ મંડળીના સંચાલકો સામે મનમાનીના આક્ષેપો

ડીસા તાલુકાના કણજરા ગામે આવેલી દૂધ સહકારી મંડળીના વહીવટ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગામના લોકોએ મંડળીના મંત્રી અને ચેરમેન પર મનસ્વી વહીવટ અને ગેરરીતીના આક્ષેપો કર્યા છે, જ્યારે બીજી તરફ મંડળીના સંચાલકોએ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને પોતાનો બચાવ કર્યો છે. આ વિવાદ હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

કણજરા ગામના લોકોનો આક્ષેપ છે કે દૂધ સહકારી મંડળીના હાલના મંત્રી અને ચેરમેન લાંબા સમયથી મનસ્વી રીતે વહીવટ ચલાવી રહ્યા છે. ગામલોકોના જણાવ્યા મુજબ, મંડળીની કામગીરીમાં પારદર્શિતાનો અભાવ છે અને ઘણા સમયથી ગેરરીતિઓ થતી હોવાની શંકા છે. આ અંગે ગામના સભ્યોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. ગામલોકોએ તાત્કાલિક ધોરણે મંડળીની કમિટી બદલવાની અને ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તેવી માંગ કરી છે, જેથી દૂધ મંડળીના વહીવટમાં ચાલી રહેલી કથિત ગેરરીતિઓનો પર્દાફાશ થઈ શકે અને સાચા તથ્યો બહાર આવી શકે.

બીજી તરફ, મંડળીના મંત્રી અને ચેરમેને ગામલોકોના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ ઘણા સમયથી મંડળીનું સંચાલન કરી રહ્યા છે અને અત્યાર સુધી કોઈ ગેરરીતી થઇ નથી. તેમણે ઉમેર્યું કે ગામલોકો ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. આ મામલે મંડળીના સંચાલકોએ સ્પષ્ટતા કરી છે કે તેમનો વહીવટ સંપૂર્ણપણે પારદર્શક છે અને તેઓ ગેરરીતિના કોઈપણ આક્ષેપોને સ્વીકારતા નથી. આ સમગ્ર વિવાદને પગલે મંડળીના ભવિષ્ય અને તેના વહીવટ સામે સવાલો ઊભા થયા છે. ઉચ્ચ સ્તરીય તપાસ થશે તો જ આ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે અને કોણ સાચું છે તે જાણી શકાશે ? તેવો સુર લોકોમાં ઉઠ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *