ફટાકડા બ્લાસ્ટમાં મૃત્યુ પામનારના પરિવારને સાંસદની સાંત્વના; રાજકારણ ગરમાયુ

ફટાકડા બ્લાસ્ટમાં મૃત્યુ પામનારના પરિવારને સાંસદની સાંત્વના; રાજકારણ ગરમાયુ

ઘટના પાછળ સરકાર અને તંત્ર જવાબદાર : ગેનીબેન ઠાકોર, ડીસામાં ગેરકાયદેસર ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં 22 લોકોના મોત થયા છે. જે મામલે આરોપીઓના ભાજપ- કોંગ્રેસ કનેક્શન બાદ રાજકારણ ગરમાયુ છે. ત્યારે આજે સાંસદ ગેનીબેન ઠાકોરે ડીસામાં મૃતકના પરિવારજનને સાંત્વના આપી પોતાના નિવેદનમાં સરકાર અને સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં થયેલા ભયાનક બ્લાસ્ટ મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે મૃતક મેહુલ લુહારના ઘરે પહોંચીને પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ તેમણે સરકાર અને સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. ગેનીબેન ઠાકોરે આ ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી હતી અને મૃત્યુ પામેલા મધ્યપ્રદેશના 22 લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ઘટના અત્યંત દુઃખદ છે. મધ્યપ્રદેશના 22 લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ હજુ સુધી મધ્યપ્રદેશના એક પણ સાંસદે ગૃહમાં તેમને શ્રદ્ધાંજલિ પણ આપી નથી.

તેમણે આ ઘટના માટે સરકારને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, આ ઘટના પાછળ સરકાર જવાબદાર છે. જો સ્થાનિક તંત્રએ શરૂઆતમાં ધ્યાન આપ્યું હોત, તો આ ઘટના ટાળી શકાઈ હોત.તેમણે સ્થાનિક તંત્ર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે આ ઘટના બની છે.

ગેનીબેન ઠાકોરે સીટની તપાસ પર પણ શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સીટમાં પણ એમના જ અધિકારીઓ છે. જોઈએ કે તેઓ તપાસમાં શું કાઢે છે? તેમણે જિલ્લા પોલીસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લા પોલીસને સંવેદના અને નૈતિક જવાબદારી સાથે કોઈ લેવાદેવા નથી. અધિકારીઓ આ ભયાનક ઘટનાને યોગ્ય રીતે રજૂ કરી રહ્યા નથી. ગેનીબેન ઠાકોરે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપના રાજમાં વાસ્તવિકતા રજૂ કરવાના બદલે ક્રેડિટને ધક્કો ન લાગે એ જ તેમની વિચારધારા છે.સાથે જણાવ્યું હતું કે પરિવારને ઓછામાં ઓછી દસ લાખની સહાય મળવી જોઈએ. આ ઘટનાએ સમગ્ર રાજ્ય અને દેશમાં ચકચાર મચાવી છે. વિપક્ષે સરકાર અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *