અંબાજીમાં માતાજીના પ્રાગટયોત્સવમાં 3 લાખથી વધુ માઈભક્તો આસ્થાભેર ઉમટ્યા

અંબાજીમાં માતાજીના પ્રાગટયોત્સવમાં 3 લાખથી વધુ માઈભક્તો આસ્થાભેર ઉમટ્યા

2 કી. મી. લાંબી શોભાયાત્રામાં 40 વિવિધ ઝાંખીઓ અને અવનવી વેશભૂષામાં સજ્જ પાત્રોનું આકર્ષણ

બનાસકાંઠા જિલ્લાના જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં આદ્યશક્તિ મા અંબાનું પ્રાગટ્ય પર્વ, એટલે કે પોષી પૂનમના અવસરે યાત્રાધામ અંબાજી શક્તિ- ભક્તિના રંગે રંગાયું હતું. માતાજીના અવતરણ દિવસની આસ્થાભેર ઉજવણી કરવા માટે સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું.

ગબ્બરની જ્યોતથી માંડીને નગરચર્યા સુધીના પ્રસંગે અંબાજીમાં એક દિવ્ય અને અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.આ પ્રાગટ્યોત્સવનું મુખ્ય આકર્ષણ મા અંબાની ભવ્ય શોભાયાત્રા રહી હતી. મા અંબા સ્વયં ભક્તોને દર્શન આપવા માટે ગજરાજ (હાથી) પર આરૂઢ થઈ નગર ભ્રમણે નીકળ્યાં હતાં.આ શોભાયાત્રામાં 40 થી વધુ કલાત્મક અને ધાર્મિક ઝાંખીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓનાં ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. આદિવાસી નૃત્યો, નાસિક ઢોલ, બેન્ડવાજા અને શરણાઈઓના સૂરે વાતાવરણને ગજવી દીધું હતું. માથે કળશ અને શ્રીફળ લઈને સજ્જ થયેલી બાલિકાઓ અને સંસ્કૃત પાઠશાળાના બટુકોએ યાત્રાની શોભા વધારી હતી.મા જગદંબાના પ્રાગટ્યોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે અંબાજી નિજ મંદિરમાં માતાજીને ૫૬ ભોગનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફળો અને પકવાનોથી સજ્જ આ અન્નકૂટના દર્શન કરીને ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા.આજે 3 લાખથી વધુ માઇભક્તોએ માના દર્શન કર્યા હોવાનું મંદિર ટ્રસ્ટના અધિક કલેકટર કૌશિક મોદીએ જણાવ્યું હતું.

ઉત્સવની શરૂઆત વહેલી સવારે માના જ્યોતિસ્થાન ગબ્બર પર્વતથી થઈ હતી. ગબ્બરની “અખંડ જ્યોત” તેમજ 51 શક્તિપીઠ મંદિરમાંથી જ્યોતનો અંશ લાવી ભવ્ય જ્યોતયાત્રા કાઢવામાં આવી હતી. ગબ્બર શિખર પર ધજા રોહણ બાદ વિદ્વાન પંડિતો અને ભક્તો દ્વારા આ જ્યોતનું સ્વાગત કરી તેને નિજ મંદિર લાવવામાં આવી હતી, જ્યાં તેને મુખ્ય જ્યોતમાં વિલીન કરાઈ હતી. આ સાથે જ ચાચર ચોકમાં ‘મહાશક્તિ યાગ’ અને શક્તિદ્વાર પર ભવ્ય ‘મહાઆરતી’ યોજાઈ હતી, જેમાં હજારો ભક્તોએ એકસાથે માની આરાધના કરી હતી.નગરના માર્ગો પર જ્યારે વિવિધ ઝાંખીઓ, ઢોલ-નગારા અને બેન્ડ-વાજાના સૂર રેલાયા, ત્યારે ઉપસ્થિત હજારો માઈભક્તો પોતાની જાતને રોકી શક્યા નહીં અને મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા.

આ ભવ્ય શોભાયાત્રાને નિહાળવા માટે અંબાજીમાં ભારે સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. માર્ગની બંને બાજુએ અને મકાનોની અગાશીઓ પર ભક્તોની કતારો જોવા મળી રહી છે. નાસિક ઢોલ અને પરંપરાગત વાદ્યોના તાલે ભક્તો ‘જય અંબે’ના નાદ સાથે ગરબે ઘૂમતા અને નાચતા જોવા મળ્યા હતા.

માતાજીને વિવિધ શાકભાજીનો મનોહર શણગાર

પોષી પૂનમને ‘સુખડી પૂનમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રસંગે ‘શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ’ દ્વારા 2100 કિલો સુખડીનો પ્રસાદ ભક્તોમાં વિતરિત કરવામાં આવ્યો હતો. જ્યારે રેસ્ટોરન્ટ એસો.દ્વારા લાઈવ વાનગીનું વિતરણ કરાયું હતું.આ ઉપરાંત આ દિવસને ‘શાકમ્ભરી પૂનમ’ તરીકે ઊજવતાં માતાજીને વિવિધ શાકભાજીઓનો મનોહર શણગાર કરવામાં આવ્યો હતો, જે જોઈ ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *