જિલ્લાના ખેડૂતોને રાહત : જીલ્લામાં ખેતીવાડી વિભાગ તથા ક્રીભકો દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં યુરિયાની ફાળવણી કરવામાં આવી
ડીસા રેલ્વે યાર્ડ ખાતે ક્રીભકો દ્વારા ૨૬૦૦ મેટ્રિક ટનનો માતબર યુરિયા ખાતરનો જથ્થો પહોંચાડયો; બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સિઝનના પાકમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂત વર્ગ ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો જેને લઈ હંમેશા બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનોના હિતમાં પ્રશ્નોને પાછા આપતું રખેવાળ દૈનિક દ્વારા 2 ઓગસ્ટ ના રોજ બનાસકાંઠામાં યુરિયા ખાતરની અછત ખેડૂતોની હાલત કફોડી અહેવાલ છપાયો હતો જેને લઈને બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી વિભાગ તથા ક્રીભકો દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં યુરિયાની ફાળવણી કરવામાં આવતા ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગતી હતી ત્યારે ખેડૂતો માટે ક્રીભકો દ્વારા ૨૬૦૦ મેટ્રિક ટન નો માતબર યુરિયા ખાતરનો જથ્થો ડીસા રેલ્વે યાર્ડ ખાતે પહોંચી ગયો છે. આ સમગ્ર જથ્થાનું વિતરણ નાયબ ખેતી નિયામક ખેતીવાડી ખાતા તથા ક્રીભકો કંપનીના સંકલન દ્વારા દરેક તાલુકામાં સપ્રમાણ વિતરણ કરવામાં આવતા ખાતર ની અછત દુર થશે આ બાબતે ખેતી અધિકારી રામજીભાઈ રબારીએ જણાવ્યું હતું કે યુરિયાનું વિતરણ બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં નાયબ ખેતી નિયામક તથા ક્રીભકો ના સંકલન દ્વારા જિલ્લાની વિવિધ સહકારી સંસ્થા અને વિક્રેતાઓને વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં ખેડૂતોને યુરિયા ખાતર ની અછત સર્જાતા મુશ્કેલીઓ મુકાઈ જવા પામ્યા છે અને યુરીયા ખાતર લેવા માટે ખેડૂતો ખાતર વિતરણ કેન્દ્રો પર વહેલી સવાર થી લાંબી લાઈનો લાગી જતી હતી તેમ છતાં ખાતર મળતું ન હતું પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ઓગસ્ટ માસમાં વધુ જથ્થો ફાળવતા જિલ્લામાં યુરિયા ખાતાની અછત દૂર થશે.
જિલ્લાના ખેડૂતોને જરૂર પડશે તો વધુ પ્રમાણમાં પણ ખાતર મંગાવવામાં આવશે : અધિકારીઓ
બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝન ના પ્રારંભે યુરિયા ખાતાની અછત સર્જાતી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ અને ક્રીભકો દ્વારા યુરિયા ખાતર મંગાવી તાલુકાઓ મોકલવામાં આવી રહયુ છે ત્યારે આ બાબતે અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે જિલ્લાના ખેડૂતોને જો વધુ પ્રમાણમાં જરૂર પડશે તો વધુ પ્રમાણમાં જથ્થા મંગાવવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકા સેન્ટરમાં ખાતરનો જથ્થો મોકલાવવામાં આવી રહ્યો છે; આ અંગે મળતી વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછત વર્તાઈ રહી હતી ત્યારે જીલ્લા માં ખેતીવાડી વિભાગ તથા ક્રીભકો દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં યુરિયાની ફાળવણી કરવામાં આવતા ૧૪ તાલુકાના વિવિધ કેન્દ્રો ઉપર યુરીયા ખાતર મોકલવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને યુરિયા ખાતરની અછત દૂર થશે.


