ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજરોજ અંબાજી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય થકી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.
આ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મૂળ નિવાસી સમાજ પ્રકૃતિ સાથેના સહજીવન અને પ્રકૃતિના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. ઇતિહાસ સાક્ષી છે કે વનબંધુઓએ અંગ્રેજો સામે સ્વતંત્રતા અને સ્વાભિમાન માટે સશક્ત લડત આપી હતી, જેને દેશ આજે ગૌરવભેર યાદ કરે છે.
મંત્રીએ જણાવ્યું કે, આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ આદિજાતિ વિકાસ મંત્રાલય સહિત વિવિધ યોજનાઓનો આરંભ કરાયો હતો. વર્ષ ૨૦૦૭માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘વનબંધુ યોજના’ શરૂ કરી, જેમાં માર્ગ, મકાન, વીજળી, પશુ સહાય જેવી સુવિધાઓનો સમાવેશ કરાયો હતો. આજે છેવાડાના વિસ્તાર સુધી સરકારની યોજનાઓ પહોંચી છે.
મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના દાંતા થી ડાંગ વિસ્તાર સુધી આશરે ૯૦ લાખ આદિવાસી બાંધવો વસવાટ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિકલ સેલ એનિમિયા જેવા રોગ અંગે ચિંતા કરીને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવી છે. શિક્ષણ ક્ષેત્રે બંધારણીય હકો હેઠળ નોકરીની તક આપવામાં આવી રહી છે અને NEET-JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી થવી આ તમામ બાબતો વિકાસનું પ્રતિબિંબ છે.
તેમણે જણાવ્યું કે, આરોગ્ય માટે વર્ષ ૨૦૧૨માં ‘મા કાર્ડ’ યોજના શરૂ થઈ, ત્યારબાદ ‘મા વાત્સલ્ય કાર્ડ’ અને હવે ‘આયુષ્માન કાર્ડ’ દ્વારા આરોગ્ય સેવાઓ સુલભ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા ૯૦ જેટલી વનપેદાશો માટે MSP ભાવ નક્કી કર્યા છે. આ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર વનબંધુઓને ૧૦૦% સેચ્યુરેશન સુધી વિકાસ યોજનાઓનો લાભ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. ખેલ, રક્ષા સહિત તમામ ક્ષેત્રોમાં વનબંધુ સમાજ નવી ઊંચાઈ સર કરે તેવી તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે ધોરણ ૧૨ માં જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મળેવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ અર્પણ કરાયા હતા. જેમાં પ્રથમ ક્રમાંકને ૧૫૦૦૦, દ્વિતીય ક્રમાંકને ૧૧૦૦૦ તથા તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીને ૯૦૦૦ રૂપિયાનું પ્રોત્સાહન અપાયું હતું. આ સાથે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર આદિજાતિ વિદ્યાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં કાર્યરત થયા છે તેમને પ્રશસ્તિપત્ર વડે સન્માન કરાયું હતું. આ તકે રક્ષાબંધનના પાવન દિવસે વિદ્યાર્થીનીઓ દ્વારા મંત્રી અને મહાનુભાવોને રાખડી બાંધી ઉજવણી કરી હતી.


