રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલે ગતરોજ વિસનગર ખાતે શહેરમાં ચાલી રહેલા રેલવેના વિવિધ પ્રોજેક્ટ્સનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. આ દરમિયાન રેલવે વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે પ્રોજેક્ટની પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને સાંસદ હરિભાઈ પટેલે રેલવે પ્રોજેક્ટ્સના કામની ગુણવત્તા અને પ્રગતિનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને અધિકારીઓને સૂચના આપી હતી કે, પ્રોજેક્ટ્સનું કામ તબક્કાવાર અને ઝડપથી પૂર્ણ થાય તેની ખાતરી કરવી, જેથી સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. લોકોની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ નિરીક્ષણ દરમિયાન વિસનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રેલવેના પ્રોજેક્ટ્સની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને કામની ગતિ વધારવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્થાનિક નગરપાલિકા અને રેલવે વિભાગના અધિકારીઓને સંકલન સાથે કામ કરવા અને પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

