મુખ્યમંત્રીની કડક સુચનાને પગલે મહેસાણા મનપા કામે લાગી; મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પિલાજીગંજ વિસ્તારમાં વિવિધ રોડ રસ્તાના ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસાની શરૂઆતમાં જ શહેરના વિવિધ રસ્તાઓએ તંત્રની નબળી કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી હતી. જેના લીધે શહેરના કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના બનાવો વધી કવા પામ્યા છે. વરસાદી પાણીમાં રોડ રસ્તાઓ પણ ક્યાંકને ક્યાંક ધોવાઈ જવાના લીધે શહેરના અનેક વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખાડારાજથી ત્રાહિમામ પોકારી ઉઠેલા શહેરીજનોની મૌખિક રજૂઆતને ધ્યાને લઈને મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અને સવલત માટે થઈને તાત્કાલિક ધોરણે ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ખૂબ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશા – દર્શનમાં મહાનગરપાલિકાઓને કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં રોડ- રસ્તા રીપેર, ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
જે અંતર્ગત મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તા મરામતની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વાહનચાલકોને ખાડાની સમસ્યાથી રાહત મળી રહે તેમજ ટ્રાફિક સમસ્યા ઓછી થાય તે હેતુથી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પિલાજીગંજ વિસ્તારમાં રસ્તાના ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

