કડી તાલુકાના થોળ રોડ પર આવેલ મુખ્ય નર્મદા કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી છે. દશામાના પરામાં રહેતો આકાશ લાલજીજી ઠાકોર નામનો આ યુવક ગુરુવારે રાત્રે કોઈને કહ્યા વગર ઘરેથી પોતાની બાઇક GJ 2 EJ 4478 લઈને નીકળ્યો હતો. આકાશ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તેણે થોળ રોડ પર આવેલ સિંધવાઇ માતાજીના મંદિરની બાજુમાં આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. યુવકે પોતાની બાઇક અને પાકીટ કેનાલની દિવાલ પર મૂકી દીધા હતા.
આ ઘટનાની જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવકના અવસાનથી પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. કડી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં નર્મદા કેનાલનો ભાગ આવેલો છે. કડી તાલુકાના કરણનગર ગામેથી કેનાલનું વાય જંકશન પડે છે. એક ફાટો સૌરાષ્ટ્ર તરફ જાય છે અને બીજો ફાટો કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ જાય છે. આકાશે કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ જતી મુખ્ય નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

