વિસનગર શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અને મોહરમ પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સાંજે હરિહર સેવા મંડળ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પોલીસ દ્વારા આયોજિત આ બેઠકમાં બંને સમુદાયના આગેવાનોએ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવાની ખાતરી આપી છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં વિસનગરના પાંચ લોકોના નિધનને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. ગંજી વિસ્તારથી લાલ દરવાજા સુધી ડીજેનો અવાજ મર્યાદિત રાખવામાં આવશે. રથયાત્રામાં જોડાનાર દરેક વાહનને નંબર આપવામાં આવશે.
આ વર્ષે રથનો આકાર મોટો હોવાથી બજારોમાંથી કપડાના તડા દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાં ચાલી રહેલા વિકાસ કામોને ધ્યાનમાં રાખીને યોગ્ય રૂટની વ્યવસ્થા કરવામાં આવશે. ભગવાનના મોસાળા દરમિયાન વધુ ભીડને કારણે પટણી દરવાજા પાસે ડાયવર્ઝન રહેશે. મોહરમ પર્વ માટે નગરપાલિકા દ્વારા સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. કાંસા એન.એ. વિસ્તાર હવે વિસનગરમાં સમાવિષ્ટ થયો હોવાથી, ભવિષ્યમાં રથયાત્રાનો રૂટ લંબાવવાનું સૂચન કરાયું છે. બેઠકમાં ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ, પીઆઈ એ.એન.ગઢવી અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.

