બાપદાદા વખતની જમીન ખાલી કરાવવાનો કારસો; બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના આંત્રોલી ગામના ખેડૂતો શ્રી સરકાર (સરકારી) જમીન વિવાદને લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.અને ખેડૂતોએ આ મામલે આવેદનપત્ર સુપરત કર્યું છે.
આંત્રોલી ગામનાં રહીશો બાપદાદા વખતની જમીન ઉપર ખેતી અને પશુપાલન કરીને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યાં છે.જે સરકાર દ્વારા સર્વે કરેલી જમીન શ્રી સરકાર કરી દેવામાં આવી હોવાની જાણ ખેડૂતોને થતાં તેમના માથે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.પાલનપુર ગ્રામ્ય મામલતદાર કચેરી દ્વારા તેઓને જાણ કરવામાં આવી છે કે સર્વે કરેલી જમીનને સરકારે શ્રી સરકાર દાખલ કરાવેલ હોવાથી જમીન ઉપર કબજો છોડી દેવાનું જણાવવામાં આવતાં આ જમીન ઉપર મધ્યમ વર્ગ સહિત ગરીબ ખેડૂતો પોતાની આજીવિકા ચલાવીને જીવન નિર્વાહ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.પણ આ જમીનને બે માસમાં ખાલી કરી દેવાનું અલ્ટીમેટમ આપતાં વર્ષોથી પોતાના બાપદાદા વખતથી રહેતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
તાત્કાલિક અસરથી કાર્યવાહી મોકુફ રાખવા રજુઆત; ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને માંગ કરી છે કે અમારા બાપ દાદા વખતથી ચાલી આવતી અને અમારા કબ્જા ભોગવટાની ખેતીની જમીનો અમારી જાણ બહાર શ્રી સરકાર ખાતે થઈ ગયેલ જમીન ઉપર હાલ પૂરતી કોઈ કાર્યવાહી ન કરવા અને મામલતદાર (પાલનપુર ગ્રામ્ય) દ્વારા જો કોઈ કાર્યવાહી ચાલું હોય તો તાત્કાલિક અસરથી મોકુફ રાખવાની રજુઆત કરાઈ છે.
જમીન ખાલી કરાવવાની હિલચાલથી ખેડૂતો ચિંતિત; આંત્રોલી ગામના ખેડૂતોની મુખ્ય ચિંતા શ્રી સરકાર દ્વારા જમીન ખાલી કરાવવાની ચાલી રહેલી હિલચાલ છે. ખેડૂતોનું કહેવું છે કે જો આ જમીન ખાલી કરાવવામાં આવશે, તો તેમની અને પશુપાલકોની આજીવિકા છીનવાઈ જશે. આ જમીન પર તેઓ ખેતી અને પશુપાલન કરે છે.જેનાથી પરિવારનું ભરણપોષણ થાય છે.


