પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો ૧૨૯મો એપિસોડ આજે પ્રસારિત થયો. આ વર્ષનો આ છેલ્લો એપિસોડ હતો. પીએમ મોદીએ ૨૦૨૫માં દેશની સિદ્ધિઓ તેમજ નવા વર્ષ ૨૦૨૬ના પડકારો, શક્યતાઓ અને વિકાસની ચર્ચા કરી.
પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત એમ કહીને કરી હતી કે 2026નું વર્ષ નજીક આવી રહ્યું છે, અને આખા વર્ષની યાદો તેમના મનમાં છવાઈ ગઈ છે. ઘણી સિદ્ધિઓએ રાષ્ટ્રને એક કર્યું છે. 2025 એ આપણને એવી ઘણી ક્ષણો આપી છે જેનાથી દરેક ભારતીયને ગર્વ થયો છે. રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત ક્ષેત્ર સુધી, વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા પ્લેટફોર્મ સુધી, ભારતે દરેક જગ્યાએ એક મજબૂત છાપ છોડી છે.
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, “આ વર્ષે, ‘ઓપરેશન સિંદૂર’ દરેક ભારતીય માટે ગર્વનું પ્રતીક બન્યું. આખી દુનિયાએ જોયું કે આજનું ભારત તેની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરતું નથી. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન, વિશ્વના દરેક ખૂણેથી ભારત માતા પ્રત્યે પ્રેમ અને ભક્તિની છબીઓ ઉભરી આવી. ‘વંદે માતરમ’ ને 150 વર્ષ પૂર્ણ થયા ત્યારે પણ આવી જ ભાવના જોવા મળી.”
રમતગમતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, “પુરુષોની ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, જ્યારે મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો. ભારતની દીકરીઓએ મહિલા બ્લાઇન્ડ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો. એશિયા કપ T20 માં પણ ત્રિરંગો ગર્વથી લહેરાયો.”
પ્રધાનમંત્રીએ વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે દેશની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “ભારતે વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે પણ મોટી છલાંગ લગાવી છે. શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા. પર્યાવરણીય સંરક્ષણ અને વન્યજીવન સંરક્ષણ સંબંધિત ઘણી પહેલો પણ 2025 માં શરૂ થઈ હતી. ભારતમાં ચિત્તાઓની સંખ્યા હવે 30 થી વધુ થઈ ગઈ છે.”

