હાઇકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો અત્યાર સુધી નવરાત્રીની આઠમની પૂજા અને આરતીનો હક માત્ર દાંતા દરબારના વંશજોને જ હતો. રાજાશાહી સમયથી આ પરંપરા ચાલી આવતી હતી. આ મુદ્દે અંબાજી મંદિર ટ્રસ્ટ અને દાંતા દરબારના વંશજો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી કોર્ટ મેટર ચાલી રહી હતી જેનો ચુકાદો આવ્યો હતો. નોંધનીય છે કે, અંબાજી મંદિરની સ્થાપનાથી લઈ અત્યાર સુધીનો સૌથી મહત્વનો નોંધપાત્ર ચુકાદો હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે
શું હતો અંબાજી મંદિરનો સમગ્ર વિવાદ ?
બનાસકાંઠાના દાંતાના રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે દાયકાઓથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. દાંતાના રાજવી પરિવારનો દાવો હતો કે, પરંપરાગત રીતે આઠમની હવન પૂજા અને આરતીનો પ્રથમ હક તેમનો છે. આ પરંપરા રાજાશાહીના સમયથી ચાલી આવતી હતી અને તેને તેઓ પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હતા. જેના લીધે અત્યાર સુધી આઠમની પલ્લી અને વિશેષ પૂજા વખતે રાજવી પરિવારની હાજરી અનિવાર્ય ગણાતી હતી, પરંતુ હવે મંદિર વહીવટી તંત્ર પોતાની રીતે તમામ ભક્તો માટે વ્યવસ્થા કરી શકશે.
સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટના 3 મહત્ત્વના અવલોકન
- લોકશાહીમાં વિશેષાધિકાર નહીં : રાજાશાહીના સમયના હકો હવે લોકશાહી શાસન વ્યવસ્થામાં કાયમી ધોરણે ચાલુ રાખી શકાય નહીં.
- જાહેર ટ્રસ્ટનો નિયમ : અંબાજી મંદિર હવે એક પબ્લિક ટ્રસ્ટ અને સરકાર હસ્તક છે. જાહેર મંદિરમાં દરેક શ્રદ્ધાળુ સમાન છે.
- ભક્તો માટે સમાનતા : પૂજા કે આરતીમાં કોઈ એક વ્યક્તિ કે પરિવારને અગ્રતા આપવી એ બંધારણીય રીતે યોગ્ય નથી. હવે આ પૂજાનો લાભ સામાન્ય વ્યક્તિ પણ લઈ શકશે.

