ગુજરાત એનસીસી દ્વારા “વાઈબ્રન્ટ વિલેજ ઇનિશિએટિવ” અંતર્ગત બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામ સ્થિત મમાણા અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે “વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ”નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના સરહદી ગામોમાં રહેતા નાગરિકોના જીવનમાં સુધારો લાવવા તથા તેમને જાગૃત કરવાનો હતો.
આ કાર્યક્રમ દરમિયાન એનસીસી કેડેટ્સ અને શાળાના બાળકો દ્વારા નૃત્ય, ભાષણ અને સંગીતના માધ્યમથી સુંદર રજૂઆત કરી હતી. લોક જાગૃતિ હેતુ “બેટી બચાવો, બેટી પઢાવો” વિષય પર નાટક રજૂ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાંત અધિકારી સુઈગામ, બીએસએફના સબ ઇન્સ્પેક્ટર અને ગામના સરપંચએ “વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ”ના ઉદ્દેશો, જન જાગૃતિ વિશે ઉપસ્થિતોને માર્ગદર્શિત કર્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનારા એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓને પાઠયપુસ્તક સામગ્રી વિતરણ કરીને પ્રોત્સાહિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં ૩૫ ગુજરાત બટાલિયન એનસીસીના ઓફિસર લેફ્ટિનન્ટ કર્નલ પ્રીતી તિવારીએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ડૉ.અરવિંદ પ્રજાપતિ (એસ.ડી.એમ.), સબ ઇન્સ્પેક્ટર ઈશ્વરસિંહ (૧૩૭ બટાલિયન) અને તેમની ટીમ, સુઈગામ તાલુકા વિકાસ અધિકારી પ્રવીણ, ગામના સરપંચ, ટ્રસ્ટી ડૉ.મહિપાલસિંહ ગઢવી તથા શાળાના આચાર્ય હાજર રહ્યા હતા. આ સાથે ૨૫૦ જેટલા એનસીસી કેડેટ્સ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

