ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના દોષિત આસારામ બાપુને તેમની તબીબી સ્થિતિ અને તબીબી સારવારના અધિકારનો હવાલો આપીને છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ૮૬ વર્ષીય આસારામ બાપુ હૃદયની બીમારીથી પીડાય છે.
આસારામના પક્ષે દલીલ કરી હતી કે જોધપુર કોર્ટે આસારામને છ મહિના માટે જામીન આપ્યા છે. તેઓ હૃદય સંબંધિત બીમારીથી પીડાય છે. આસારામ 86 વર્ષના છે અને તેમને તબીબી સારવારનો અધિકાર છે. જો અપીલની સુનાવણી છ મહિનાની અંદર આગળ ન વધે તો તેઓ ફરીથી જામીન માટે અરજી કરી શકશે.
કોર્ટે જણાવ્યું હતું કે જોધપુર હાઈકોર્ટે આસારામની તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન આપ્યા છે, તેથી ગુજરાત હાઈકોર્ટ અલગ વલણ અપનાવી શકે નહીં. જો રાજસ્થાન સરકાર આ જામીનને પડકારશે, તો ગુજરાત સરકાર પણ તેમ કરી શકશે.
સરકારે કહ્યું કે જો જોધપુર જેલમાં પૂરતી તબીબી સુવિધાઓ ન હોય તો તેમને સાબરમતી જેલમાં ખસેડવામાં આવી શકે છે.
પીડિતાના વકીલનો દલીલ છે કે આવી પરિસ્થિતિઓમાં પણ, આસારામ અમદાવાદ, જોધપુર, ઇન્દોર અને અન્ય સ્થળોએ મુસાફરી કરવાનું ચાલુ રાખ્યું છે. તેમણે ક્યારેય હોસ્પિટલમાં લાંબા ગાળાની સારવાર લીધી નથી. તેમણે ઋષિકેશથી મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો છે. તેઓ જોધપુરમાં આયુર્વેદિક સારવાર મેળવતા રહે છે, અને તેમને કોઈ ફરિયાદ નથી.
૨૫ એપ્રિલ, ૨૦૧૮ ના રોજ રાજસ્થાનની જોધપુર કોર્ટે સગીર છોકરી પર બળાત્કાર અને જાતીય શોષણના આરોપમાં દોષિત ઠેરવ્યા બાદ આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમને ભારતીય દંડ સંહિતા (IPC) અને POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ જેલમાં છે.

