ભારે વરસાદને કારણે ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ…!
બનાસકાંઠાના વડગામ અને દાંતા વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં મગફળી, મકાઈ, અને દિવેલા જેવા પાકોના વાવેતરમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે તેમને ભારે નુકસાન થવાની શક્યતા છે. છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને વડગામ અને દાતા તાલુકાના ખેડૂતોએ વાવેલા પાક પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે પાક નિષ્ફળ જવાની ચિંતા વધી છે.
અગાઉ ઉનાળામાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. હવે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો, જેનાથી ખેડૂતોમાં આશા જાગી હતી, પરંતુ હાલના ભારે વરસાદે તેમની ચિંતા વધારી દીધી છે. ખેતરોમાં બે ફૂટ જેટલું પાણી ભરાઈ જવાથી મકાઈ, મગફળી, અને દિવેલા જેવા પાકોને મોટું નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતો હાલની પરિસ્થિતિને લઈને ચિંતિત છે અને સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનો અંદાજ લગાવવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. આ માંગણી સાથે, તેઓ આશા રાખી રહ્યા છે કે સરકાર તેમની મુશ્કેલીમાં મદદ કરશે.


