છૂટક વેપારીઓની મનમાનીના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું; બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ મોંઘવારી વચ્ચે કઠોળ, લીલા શાકભાજી અને ફ્રુટના ભાવ ઘટવાનું નામ લેતા નથી. સામાન્ય દિવસોમાં મળતી દૂધી, ચોળી, ગવારના ભાવો આસમાને પહોંચી ગયા છે. લીલા શાકભાજીના ભાવોમાં કિલોએ રૂ.30 થી 40 સુધીનો વધારો થઈ ગયો છે. જયારે દાળોના અને કઠોળના ભાવોમાં પણ ઉછાળો આવ્યો છે.આ ઉપરાંત ફ્રુટના ભાવોમાં પણ અસહ્ય વધારો થઈ ગયો છે.
લીલા શાકભાજી, ફ્રૂટ સહિતના ભાવો વધતા જ ગૃહિણીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, હવે કયાં સુધી અમે ધીરજ રાખીએ, મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી. ઊલટાનું મોંઘવારી વધતી જાય છે.ઉપરથી સરકારે ખાદ્ય ચીજો ઉપર જીએસટી ઝીંકી દેતા જીવવું મુશ્કેલ બની ગયું છે.સરકાર કે તેના વિભાગોનો કોઈ અંકુશ રહ્યો નથી. જેના લીધે કેટલાક લેભાગુ વેપારીઓ કૃત્રિમ ઉછાળો લાવીને પ્રજાને છેતરી રહ્યા છે.
હોલસેલ શાકમાર્કેટના વેપારીઓ જણાવી રહ્યા છે કે, વરસાદને લીધે હાલમાં શાકભાજીની આવક ઘટી છે. આ સાથે લીલા શાકભાજી હોલસેલનો ભાવ તો રૂ.60 થી 70 ચાલી રહ્યા છે.પણ છૂટકના વેપારીઓ ખોટા ભાવો લઈ રહ્યા છે. જ્યારે છૂટકના વેપારીઓ જણાવી રહ્યા છે કે, વહેલી સવારે હોલસેલમાં શાક ખરીદવા જવું પડે છે. શાક ખરીદીને તેને ઓટો રિક્ષા કે વાહનમાં વેચાણના સ્થળે લઈ જતા હોય છે. એટલે ખર્ચા કાઢીને કિલોએ રૂ.30 થી 50 કમાવા તો પડે ને ? આમ છૂટક વેપારીઓની મનમાનીના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.તેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.

