પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના મુખ્ય સંરક્ષક ઇમરાન ખાને બુધવારે આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પર આકરા પ્રહારો કર્યા અને તેમને “સત્તાના ભૂખ્યા” વ્યક્તિ ગણાવ્યા જે દેશમાં “સૌથી ખરાબ પ્રકારની સરમુખત્યારશાહી” ચલાવી રહ્યા હતા.
૭૨ વર્ષીય ઇમરાન ખાને, જે લગભગ બે વર્ષથી વિવિધ કેસોમાં જેલમાં છે, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા અસીમ મુનીર પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “જનરલ અસીમ મુનીર સત્તાના એટલા ભૂખ્યા છે કે તેમણે પાકિસ્તાનમાં લોકશાહીને કચડી નાખી છે અને સરમુખત્યારશાહીની ચરમસીમા સ્થાપિત કરી છે. તેઓ ન તો નૈતિકતા સમજે છે કે ન તો ઇસ્લામ.
ખાને 9 મે, 2023 ના રોજ દેશભરમાં થયેલા હિંસક રમખાણો માટે સીધા જ આસીમ મુનીરને દોષી ઠેરવતા કહ્યું, “મારી માફી માંગવાને બદલે, મુનીરે પોતે માફી માંગવી જોઈએ, કારણ કે આ બધું તેના દ્વારા રચવામાં આવેલું કાવતરું હતું. તેણે 9 મેની ઘટનાની યોજના બનાવી અને પછી સીસીટીવી ફૂટેજ પણ ચોરી લીધા. આજે તે તે જ ઘટનાનો ઉપયોગ તેની ‘વીમા પોલિસી’ તરીકે કરી રહ્યો છે.
ઇમરાન ખાને વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં હવે લોકશાહી નથી, પરંતુ બધી શક્તિ એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત છે. તેમણે લખ્યું, “આ લોકશાહી વ્યવસ્થા નથી, પરંતુ આસીમ મુનીરની તાનાશાહી છે.” તેમણે એમ પણ કટાક્ષ કર્યો કે આ જ કારણ છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુનીરને આમંત્રણ આપ્યું છે, વડા પ્રધાન શાહબાઝ શરીફને નહીં.

