અબોલ જીવો માટે ઘાસ નીરણ કાર્યક્રમ યોજાયો; ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણીના અમદાવાદ ખાતે થયેલી દુર્ઘટનામાં અકાળે નિધનથી સમગ્ર રાજ્ય શોકમગ્ન બન્યું છે. આ દુઃખદ ઘટનાને પગલે, શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા શનિવારે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના જીવદયા પ્રેમને અનોખી રીતે યાદ કરવામાં આવ્યા.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા શહેરના અગ્રણીઓ, જૈન શ્રેષ્ઠીઓ, પાંજરાપોળના કાર્યકર્તાઓ તેમજ મુંબઈ, પુણે અને સુરત જેવા શહેરોથી પધારેલા ટ્રસ્ટીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ, જ્યાં રોજના આશરે રૂ.4.25 લાખના ખર્ચે 9,000 થી વધુ અબોલ જીવોને 120 ટન જેટલું ઘાસ આપવામાં આવે છે, ત્યાં આજના દિવસે સંપૂર્ણ ઘાસ નીરણ વિજયભાઈ રૂપાણીના નામે સમર્પિત કરવામાં આવ્યું હતું. તેમના ફોટા સાથે ઘાસની ગાડીઓ પાંજરાપોળના તમામ જીવોના દરવાજે ફરાવી, નમ્રતા અને કૃતજ્ઞતાના ભાવ સાથે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે “વિજયભાઈ રૂપાણી અમર રહો”ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જે સભાસદોના હૃદયમાં તેમના પ્રત્યેના પ્રેમ અને આદરને સ્પષ્ટપણે દર્શાવતું હતું.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના જાહેર જીવનમાં સાદગી, સંવેદનશીલતા અને જીવદયાના મૌલિક મૂલ્યોને હંમેશા સાકાર કર્યા હતા. તેમના મુખ્યમંત્રી પદ દરમિયાન ગૌવંશ રક્ષા માટે કડક કાયદા બનાવવામાં આવ્યા હતા, જે તેમની જીવદયા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વર્ષ 2017ના ભયાનક બનાસકાંઠા પૂર દરમિયાન તેમણે એક અઠવાડિયાથી વધુ સમય સુધી સીધું સ્થળ પર રહીને તાત્કાલિક રાહત અને પુનર્વસનના કાર્યોની દેખરેખ રાખી હતી. આ ઘટના લોકો પ્રત્યેના તેમના ખરા સમર્પણની સાક્ષી પૂરે છે. સ્વ.ભરતભાઈ કોઠારી સાથેના તેમના જીવદયા સંવાદો પણ યાદગાર રહ્યા છે. ટુના બંદરથી 16,000 થી વધુ ઘેટાં-બકરાંની વિદેશ કતલ માટે નિકાસ અટકાવવા તેમણે સરકાર સ્તરે જે પ્રતિબંધ લગાવ્યો હતો (ભલે તે પછી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હોય), તે તેમની આંતરિક લાગણીનો પરિચય આપે છે. પાંજરાપોળ તેમજ ગૌશાળાઓ માટે તેમણે આપેલી આર્થિક સહાય આજે પણ અનેક જીવોના જીવદયાનો આધાર બની રહી છે.
અદભુત વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ; આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન હાજર તમામ મહાનુભાવોએ વિજયભાઈના સરળ અને કરુણાસભર વ્યક્તિત્વની યાદ તાજી કરી હતી. દરેકના મનમાં એક જ ભાવ હતો કે ગુજરાતે આજે એક સાદગીભર્યા, નિષ્ઠાવાન અને સાચા સેવાભાવી નેતાને ગુમાવ્યા છે, જેમના જેવો અન્ય શોધવો મુશ્કેલ છે. અંતે, પાંજરાપોળના આશ્રિત તમામ જીવોની નિહાળતી આંખો સામે, શ્રદ્ધાંજલિના પ્રવાહમાં સહભાગી થયેલા તમામેં એકજ ભાવના સાથે પ્રાર્થના કરી – વિજયભાઈ રૂપાણીના આત્માને શાંતિ મળે એમની સ્મૃતિ અમર રહે.


