ભાદરવી પૂનમના મેળા પહેલાં અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લાના ફૂડ અને ડ્રગ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વિભાગે અલગ-અલગ ચાર ટીમો બનાવી 20 જેટલા ખાદ્ય એકમોની તપાસ કરી હતી. અધિકારીઓએ કાજુ જેવી મોંઘી વસ્તુઓ સહિત કુલ 50 કિલો જેટલી ખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો.
કેટલાક રેસ્ટોરન્ટના રસોડામાં ભારે ગંદકી પણ જોવા મળી હતી. આ બાબતે સંબંધિત માલિકોને કડક સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો બીજી વખત આવી ગેરરીતિ જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને વિભાગે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મેળા દરમિયાન હંગામી સ્ટોલ લગાવી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા વેપારીઓ માટે ફૂડ લાઇસન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ લાઇસન્સ અંબાજી ખાતેથી જ મેળવી શકાશે. આ પગલાં દ્વારા યાત્રાધામ અંબાજી આવતા યાત્રીકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

