ધાનેરા તાલુકાના સરહદી એડાલ ગામ પાસે સ્થાપિત થઈ રહેલા વિશાળ સોલાર પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા હજારો એકરમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટેના આ પ્લાન્ટમાં જ્યારે કામગીરી ચાલી રહી હતી. ત્યારે અચાનક જ સોલાર પેનલો રાખવામાં આવી હતી. ત્યાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે એક પછી એક સોલાર પેનલો આગની લપેટમાં આવતી ગઈ. આગની ભયાનકતા જોતા સ્થાનિક કર્મચારીઓએ તાત્કાલિક તેને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને પાણી તેમજ માટીનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ, ધાનેરા ફાયર ફાઇટરને આ ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ આગના કારણે અનેક સોલાર પેનલો સંપૂર્ણપણે નાશ પામી છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. હાલમાં આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ ચાલી રહી છે. જો કે સ્થાનિકો એવી પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જો આ રીતે ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓ બનતી રહેશે તો આસપાસના ગ્રામજનો અને ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ ઘટનાને પગલે આસપાસના ખેડૂત પરિવારો પણ ચિંતામાં મુકાયા છે.


