નલ સે જલ યોજનાનો ફિયાસ્કો; ભાભરના ચેમ્બુવા નવા અને જૂના ગામે પીવાના પાણીની રાડ

નલ સે જલ યોજનાનો ફિયાસ્કો; ભાભરના ચેમ્બુવા નવા અને જૂના ગામે પીવાના પાણીની રાડ

પાણી વિતરણ કરતી એજન્સી અને નર્મદા અધિકારીઓની સાંઠગાંઠના આક્ષેપ

છેલ્લા ત્રણ વર્ષથી લોકો વેચાતું પાણી લાવે છે; બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં ભુગર્ભ જળ ખારા થઈ ગયા છે. જેના કારણે લોકોને પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા નર્મદા નિગમ મારફત દરેક ગામોમાં પુરતું પાણી પહોંચે તે માટે નલ સે જલ યોજના અંતર્ગત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ રસ્તામાં ગેરકાયદેસર ભૂતિયા કનેકશનના કારણે મોટા ભાગના વિસ્તારોમાં સમયસર અને પુરતું પાણી ન પહોંચતું હોવાની ફરીયાદો ઉઠી રહી છે.

ભાભર વિસ્તારમાં નર્મદાના પીવાના પાણીની દરેક ગામો સુધી પાઈપલાઈન નાખી દરેક ગામના સંપ અને ઊંચી ટાંકાઓ મારફતે દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે સરકારે યોજના બનાવી છે પરંતુ પાણી વિતરણ કરતી એજન્સીઓ કાગળ ઉપર કામગીરી બતાવી અધિકારીઓની સાંઠ ગાંઠથી સહિયારી ગોલમાલ કરી નાણાં ચાઉં કરતા હોવાનાં લોકોમાંથી આક્ષેપ ઊઠી રહ્યા છે અને લોકો પીવાના પાણી વગર ટળવળે છે. લાખો રૂપિયાનો ખર્ચ ઉધારી સરકારને બદનામ કરતા જવાબદારો સામે તપાસ હાથ ધરવામાં આવે તો પાણીના નામે વ્યાપક ગેરરીતિઓ બહાર આવે તેમ છે.

ભાભર તાલુકાના ચેમ્બુવા નવા અને ચેમ્બુવા જુના ગામે છેલ્લા ત્રણ વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો ગામજનો કરી રહ્યા છે. બન્ને ગામો સુધી નર્મદાની પાઈપલાઈન નાંખેલી છે પરંતુ પાણી આવતું નથી. બાજુના ગામ મેસપુરાથી બોરનું પાણી આવે છે પણ પાણી ખારું છે અને પીવા લાયક નથી તેમ ગામલોકોએ જણાવી જવાબદાર તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર તપાસ હાથ ધરી બન્ને ગામોને મીઠું પાણી પુરતાં પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આ બાબતે ચેમ્બુવા ગામના કથાકાર અને પંડિત લાભેશભાઈ દવેએ જણાવ્યું હતું કે અમારા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું મીઠું પાણી મળતું નથી. મેસપુરા બોરનું ખારૂં પાણી પણ ત્રણ દિવસે એક વખત આવે છે. અમારે રૂપિયા ૬૦૦ ખર્ચીને પીવા માટે પાણી વેચાતું લાવવું પડે છે વારંવાર રજૂઆતી કરવા છતાં કોઈ સાંભળતું નથી ત્યારે ગરમીને ધ્યાને લઇ પુરતાં પ્રમાણમાં નર્મદાનું પીવાનું પાણી દરેક ઘર સુધી પહોંચે તેવી માંગ પણ કરી હતી.

બોરનું ખારું પાણી અપાય છે : બોર ઓપરેટર, આ બાબતે ગામના બોર ઓપરેટર લાલજી ઘનરાજભાઈ ચૌધરીને પુછતાં તેમણે જણાવ્યું હતું કે મેસપુરા ગામે નર્મદાનું પાણી ભરવા માટે ટાંકું છે પરંતુ પાણી પહોંચતું નથી ચેમ્બુવા નવા અને ચેમ્બુવા જૂના ગામે નર્મદાનું પાણી છેલ્લા ત્રણ વર્ષથી પહોંચતું નથી એટલે બોરનું ખારૂં પાણી અપાય છે‌.

ગામલોકો ખારું પાણી પીવા મજબૂર; ચેમબુવા જુના અને ચેમબુવા નવા બન્ને ગામોના મોટા ભાગના ગરીબ લોકો ૪૦૦૦ થી વધુ ટીડીએસ ધરાવતું ખારૂં પાણી પીવા મજબૂર બન્યા છે. તંત્રની બેદરકારીના કારણે નર્મદાનું મીઠું પાણી ગામ સુધી પહોંચતું નથી.ગામના સુખી લોકો ભાભરથી પાણીનું ટેન્કર વેચાતું મંગાવી મીઠું પાણી પીવે છે પરંતુ ગરીબ લોકો નાછૂટકે ૪૦૦૦ થી વધુ ટીડીએસ ધરાવતું ખારૂં પાણી પીને હાડકાંને લગતા રોગોનો ભોગ બની રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *