ઈડરના કૃષ્ણનગરમાં મજૂરીના પૈસાના વિવાદમાં એક પિતાએ પોતાના સાવકા પુત્રની હત્યા કરી નાખી. પોલીસે આરોપી પિતાને ઝડપી લીધો છે. 27 મેની રાત્રે રમેશભાઈએ તેમના 20 વર્ષીય સાવકા પુત્ર સંજય સાથે મજૂરીના પૈસા માટે ઝઘડો કર્યો. પરિવારજનોએ વચ્ચે પડીને બંનેને શાંત કર્યા અને બધા સૂઈ ગયા. રાત્રે દસ વાગ્યે રમેશભાઈએ ખાટલામાંથી ઊભા થઈને છરી લીધી. તેમણે ઊંઘમાં સૂતેલા સંજયની પીઠમાં છરી ભોંકી દીધી. સંજય ભાગવા લાગ્યો પણ થોડે દૂર જઈને ઢળી પડ્યો. 108ની ટીમે આવીને તેને મૃત જાહેર કર્યો.
આ અંગેની વિગત એવી છે કે, ઈડરના કૃષ્ણનગરમાં રબારીવાસ પાછળ તંબુમાં રહેતા શારદાબેન રમેશભાઈ વાદીના પતિનું દસેક વર્ષ અગાઉ મોત થયા બાદ છેલ્લા આઠેક વર્ષથી તેઓ ઈડર ખાતે રહી સાવરણી બનાવી મજૂરી કરે છે. તેમના સાસુ તથા બાળકો સહિત રમેશભાઈ પ્રતાપભાઈ વાદી (રહે. લીમડીટીંબા મેઘરજ જિ.અરવલ્લી) તેમની સાથે રહેતા હતા. 27 મે 25નારોજ રાત્રે આઠેક વાગે રમેશભાઈ પ્રતાપભાઈ વાદીનો દીકરો સંજય અન્ય બાળકો સાથે તંબુ બહાર ખુલ્લી જગ્યામાં ખાટલામાં બેસી વાતો કરતો હતો. તે દરમિયાન રમેશભાઈએ દીકરા સંજયને ‘મજૂરીના પૈસા કેમ આપતો નથી’ કહી ઝઘડો કર્યો હતો. જેથી શારદાબેનના સાસુ ચંપાબેન તથા પરિવારજનો વચ્ચે પડ્યા હતા અને બંનેને શાંત પડ્યા હતા. જે બાદ બધા સુઈ ગયા હતા.
રાત્રે દસેક વાગે અચાનક રમેશભાઈ વાદી ખાટલામાંથી ઊભા થઈ છરી લઈ ઊંધા સુઈ ગયેલા સંજયને પીઠના ભાગે છરી ઘોંપી દીધી હતી, જેથી સંજય પથારીમાંથી ઊભો થઈ ભાગવા માંડ્યો હતો. જો કે, થોડેક દૂર આગળ જઈ ખુલ્લી જગ્યામાં ઢળી પડ્યો હતો.આ દરમિયાન રમેશ વાદી તેની પાછળ દોડ્યો હતો અને મૃત્યુ થયાની જાણ થતાં ખેતરોમાં થઈ ફરાર થઈ ગયો હતો. બૂમાબૂમ થતાં અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને 108 બોલાવી સારવાર અર્થે લઈ જવાનું કહેતાં એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા સંજયનું મોત નીપજયું હોવાનું જણાવ્યું હતું.
શારદાબેનની ફરિયાદને આધારે ઇડર પોલીસે રમેશ પ્રતાપ વાદીને સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં PI એમ.ડી.ગઢવીએ જણાવ્યું હતું કે, દીકરાની હત્યા કરીને ભાગી ગયેલા પિતા રમેશભાઈ પ્રતાપભાઈ વાદીને ગુરુવારે રાત્રે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

