થરાદ પંથકમાં નેનો યુરિયા બંધ કરી સમયસર પૂરતા પ્રમાણમાં ખાતર આપવા ખેડૂતોએ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, તાલુકામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો સમયસર પિયત કરી શક્તા નથી. થરાદના ખેડૂતોએ જણાવ્યું હતુ કે, વાવ, સુઈગામ અને દિયોદરના ખેડૂતો ઉપરાંત રાજસ્થાનના ખેડૂતો પણ બિયારણ,દવા અને ખાતરની ખરીદી થરાદથી કરે છે.છેલ્લા ત્રણ વર્ષથી દરેક ખરીફ અને રવી સીઝનમાં પિયત સમયે યુરિયા ખાતરની અછત સર્જાય છે. આના કારણે ખેડૂતો પોતાના પાકને સમયસર પિયત કરી શકતા નથી.
થરાદની જમીન વર્ષો જૂની પિયતવાળી અને સૂકા પ્રદેશવાળી હોવાથી નાઈટ્રોજનની કમી મોટા પ્રમાણમાં વર્તાય છે.યુરિયા ખાતર વગર કેટલાક મુખ્ય પાકો થઈ શકતા નથી, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે. ખેડૂતોની ફરિયાદ છે કે યુરિયાની જગ્યાએ તેમને નેનો યુરિયાની બોતલ આપવામાં આવે છે, જે તેમના અનુભવ મુજબ બિન-ઉપયોગી અને બિન-અસરકારક છે.તાલુકા સંઘ, જિલ્લા સંઘ અથવા અન્ય દુકાનદારો ખેડૂતોને આ નેનો યુરિયાની બોટલ લેવા માટે દબાણ કરે છે. જેના કારણે દુકાનદાર અને ખેડૂત વચ્ચે સંઘર્ષ થાય છે. માટે નેનો યુરિયાની બોટલો સંપૂર્ણપણે બંધ કરવામાં આવે અને સમયસર પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે જેથી તેઓ પોતાની ખેતી યોગ્ય રીતે કરી શકે.

