કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવે તો ભાભર તાલુકાના ઉજનવાડા ગામ સુધી પાણી આવતા અનેક ગામોમાં રાહત મળે તેમ છે. તેથી અનેક ખેડૂતોનો ઘાસચારો અને બાજરીનો પાક બચી શકે તેમ છે. સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂતોની માંગણીને લઇને પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ ભાભર વિસ્તારના ખેતરોમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડતી સણવા ડિસ્ટ્રીક કેનાલમાં પાણી ન છોડાતાં કેનાલ કોરી ધાકોર પડી છે.
વાવ તાલુકા અને સુઈગામના કેટલાક ગામોમાં કેનાલ ચાલુ છે ગત પેટા ચૂંટણીમાં ભાભર તાલુકાના લોકોએ ભાજપને મોટી લીડ આપી હતી. જેના કારણે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર વિજેતા બન્યા છે અને વાવ-સુઈગામ તાલુકાએ કોંગ્રેસના ઉમેદવારને ૧૬૦૦૦ મતોની લીડ આપી હતી. અને ભાજપના ઉમેદવારને હરાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. તેવા વિસ્તારોમાં અત્યારે કેનાલમાં પાણી ચાલુ છે અને ભાભર વિસ્તારમાં પાણી માટે ખેડૂતો વલખાં મારી રહ્યા છે. આ ક્યાંનો ન્યાય ? તેવા સવાલો ભાભર તાલુકાના ખેડૂતો ઉઠાવી રહ્યા છે. ભાભર વિસ્તારમાંથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલ સુકી પડી છે. ખેતરોમા ઉભેલા ઘાસચારો બળી રહ્યો છે અને પશુઓ પણ પાણી માટે તરસી રહ્યાં છે તો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ભાભર સણવા ડિસ્ટ્રીક કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી રહી છે.

