પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક સ્થળોએ વિકાસમાં અનુભવાતી મુશ્કેલીના નિવારણ અંગે ચર્ચા કરાઇ; પાટણ જિલ્લા સેવા સદન કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની ગુરૂવારે બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટર દ્વારા જિલ્લાના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોએ વિકાસમાં અનુભવાતી મુશ્કેલીના નિવારણ અંગે ચર્ચા કરાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા પ્રવાસન સમિતિની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત, મંજૂર કરવામાં આવેલ કામોની પ્રગતિની સમીક્ષા, સિધ્ધપુર તીર્થક્ષેત્રમાં આવેલ વિવિધ મંદિરોના વિકાસની કામગીરી (સિધ્ધપુર તીર્થક્ષેત્રનો સર્વાંગી વિકાસ), બિંદુ સરોવર, શ્રી સિદ્ધનાથ મહાદેવ અને શ્રી વટેશ્વર મહાદેવ ખાતે જાળવણી અને મરામતની કામગીરી, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મીટીંગમાં મંજુર કરેલ કામોની વિગત, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર ખાતે મોકલી આપેલ દરખાસ્તને બહાલી આપવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ધારાસભ્ય અને પદાધિકારીઓની રજૂઆતોને અગ્રતા આપી અને યાત્રાધામોનો વિકાસ કરવા સુવિધાઓમાં વધારો થાય તે માટે નિયમોને આધિન વિકાસના કામો હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.

