જય ભોલે ગ્રુપ દ્વારા શારદાપીઠ ખાતે માટીનું શ્રી યંત્ર અને અખંડ ભારત પ્રતિમા અર્પણ કરાશે; બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલ દ્વારા જય ભોલે ગ્રુપને શારદાપીઠ – કાશ્મીર યાત્રાનું પાલનપુરથી ભવ્ય પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા તા. ૧૩ ઓગસ્ટથી ૧૬ ઓગસ્ટ સુધી ચાલશે. આ પ્રસ્થાન પ્રસંગે કલેક્ટરએ મંગલકામનાઓ પાઠવીને ફ્લેગ ઑફ આપ્યું હતું. પાલનપુરથી પ્રસ્થાન બાદ યાત્રિકો આરાસુરી અંબાજી મંદિરે મા જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કરશે.
આ યાત્રા અંતર્ગત શારદાપીઠ ખાતે માટીનું શ્રી યંત્ર અને અખંડ ભારતની પ્રતિમા અર્પણ કરવામાં આવશે. ભક્તમંડળ કાશ્મીરના પાન્ડ્રેથન, ઝીસ્તા દેવી, શંકરાચાર્ય, દુર્ગા નાગ, ગણપત્યાર, શારીકા દેવી, વિચાર નાગ અને ખીર ભવાની જેવા પવિત્ર મંદિરોની મુલાકાત લેશે. આ યાત્રાના અંતે શારદાપીઠ ખાતે સમૂહિક આભારવિધિ યોજાશે. જય ભોલે ગ્રુપ તથા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી યાત્રિકોને શુભેચ્છાઓ પાઠવાઈ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

