ડીસા તાલુકામાં આવેલી વ્યાજબી ભાવની સરકારી અનાજની દુકાનોના સંચાલકોએ કમિશન સમયસર ન મળવાને કારણે હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે ડીસા તાલુકાના તમામ સંચાલકોએ મામલતદાર કચેરીમાં એક આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરી છે.
સંચાલકોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તેઓ સરકારની સૂચના મુજબ સમયસર અને યોગ્ય રીતે અનાજનો જથ્થો ગ્રાહકોને પૂરો પાડે છે. જોકે, તેમને સરકાર તરફથી મળતું કમિશન સમયસર આપવામાં આવતું નથી, અને જો આપવામાં આવે તો પણ તે ટુકડે-ટુકડે મળે છે. આને કારણે જ્યારે તેમને અનાજના જથ્થાના પૈસા ભરવાના હોય છે, ત્યારે તેઓ સમયસર તે ભરી શકતા નથી.સંચાલકોની મુખ્ય માંગણી એ છે કે તેમને સરકાર તરફથી મળતું કમિશન સમયસર અને પૂરેપૂરું એકસાથે આપવામાં આવે. જો તેમની આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાળ પર જશે.
સંચાલકોએ વધુમાં જણાવ્યું કે જો તેઓ હડતાળ પર જશે, તો ગામડે-ગામડે કાર્ડધારકોને અનાજનો જથ્થો મળતો બંધ થઈ જશે, અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. તેમણે આ રજૂઆત જિલ્લા પુરવઠા અધિકારી અને ગાંધીનગર સુધી પહોંચાડીને આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા વિનંતી કરી છે.

