બોર અને કુવા રીચાર્જનો ખર્ચ 90 ટકા સરકાર અને 10 ટકા લોકભાગીદારીથી કરાશે
ડીસા તાલુકાના ખેડૂતોની 5 ટકા સહાય એપીએમસી દ્વારા અપાશે: કલ્યાણ રબારી
ગુજરાત સરકાર દ્વારા બંધ પડેલ બોરવેલ અને કુવામાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે તે માટે ખેડૂતોને મદદરૂપ થવા માટે 90-10 ની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં 10 ટકા લોકભાગીદારી પૈકી 5 ટકા રકમ એપીએમસીએ ભરવાનો નિર્ણય લીધો છે. જેથી ખેડૂતોને હવે માત્ર પાંચ ટકા જ ભરવાના રહેશે.
ગુજરાત સરકાર દ્વારા જળ અભિયાનને વેગ મળે અને ઓછા ખર્ચે વરસાદી વહી જતું પાણી બંધ પડેલા બોરવેલ અને કુવાઓ મારફત જમીનમાં ઉતારવા માટે રીચાર્જ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં બોર અને કુવા રીચાર્જના 90 ટકા રકમ રાજ્ય સરકાર ભોગવશે. અને 10 ટકા રકમ લોકભાગીદારીથી લેવામાં આવનાર છે. ત્યારે ડીસા તાલુકામાં બંધ પડેલા બોર તેમજ કુવા રીચાર્જ માટે ખેડૂતોએ અરજી કરવી જરૂરી છે. જે પણ ખેડૂતની અરજી મંજૂર થશે તે ખેડૂતને 10 ટકા લોકભાગીદારી પૈકી 5 ટકા રકમ ડીસા એપીએમસી નિયામક મંડળ એટલે કે બજાર સમિતિ ચુકવશે તેમ ડીસા એપીએમસી ડીરેકટર અને વિકાસ સમિતિ ચેરમેન કલ્યાણ રબારીએ જણાવ્યું હતું.જોકે એપીએમસીના આ ખેડૂત લક્ષી નિર્ણયથી ખેડૂતોને હવે માત્ર પાંચ ટકાજ ચૂકવવા પડશે જે ખેડૂતો માટે મોટો ફાયદો થવા પામ્યો છે.

