આગામી એક મહિનામાં તમામ વિગતો સાથે રિપોર્ટ સબમિટ કરાશે: જો કોઈ પુલ ગંભીર હાલતમાં જણાય તો તેને તાત્કાલિક બંધ કરાશે
તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા બનાસકાંઠામાં આવેલા તમામ બ્રિજ, નાળા અને ઓવરપાસ જેવા પુલોનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત વિભાગને નિર્દેશો અપાયા છે.
આ સંદર્ભે બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ પુલોનું તકનિકી રીતે વિશ્લેષણ કરવું, તિરાડો, ધાંસ, જંગ અથવા અન્ય જોખમકારક સંકેતોની ઓળખ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવા સુચના આપવામાં આવી છે. અતિવૃષ્ટિ અને ભારે વાહન વ્યવહારથી પુલોની સ્થિતિ ગંભીર ના બને, જેથી આ પ્રક્રિયા જીવન રક્ષક પગલા તરીકે આગોતરા આયોજનને લઈને સતર્કતા દાખવવા જિલ્લા કલેકટર દ્વારા નિર્દેશો આપવામાં આવ્યા છે.
નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત હસ્તકના દરેક પુલ માટે પુલની વર્તમાન સ્થિતિ, ચકાસણી, જો કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની વિગત, મજબૂતીકરણ કે ફરીથી બાંધકામ કરવા સહિતના પગલા લઈને સ્ટેટ્સ રિપોર્ટ સબમિટ કરાવવા જણાવાયું છે. આ વિભાગોએ આગામી એક મહિનામાં તમામ વિગત સાથે રિપોર્ટ સબમિટ કરાવવાનો રહેશે. જો કોઈ પુલ ગંભીર હાલતમાં જણાય તો તેને તાત્કાલિક બંધ કરવામાં આવશે અને યોગ્ય ચિહ્નો તથા બેરિકેડિંગ પણ મૂકવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી પૂર્વ ચેતવણી અને પ્રજાની સલામતી માટે લેવામાં આવશે.

