છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બલરામપુર જિલ્લામાં એક નાના બંધનો એક ભાગ તૂટી ગયો હતો, ત્યારબાદ અચાનક પૂર આવ્યું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને 3 લોકો ગુમ થયાના અહેવાલ છે. અધિકારીઓએ બુધવારે આ ઘટના અંગે માહિતી આપી હતી. મંગળવારે મોડી રાત્રે બલરામપુરમાં બંધમાં તિરાડ પડી હતી.
બુધવારે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બલરામપુર જિલ્લાના ધનેશપુર ગામમાં સ્થિત લુટી ડેમમાં મંગળવારે મોડી રાત્રે ભારે વરસાદ બાદ તિરાડ પડી ગઈ હતી. આ જળાશય 1980 ના દાયકાની શરૂઆતમાં બનાવવામાં આવ્યો હતો. તિરાડને કારણે, જળાશયનું પાણી તિરાડ દ્વારા નજીકના ઘરો અને ખેતરોમાં પ્રવેશ્યું, જેના પરિણામે અચાનક પૂર આવ્યું.
આ સમગ્ર ઘટના અંગે એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “એક મહિલા અને તેની સાસુ સહિત ચાર લોકોના મોત ત્યારે થયા જ્યારે તેઓ તેમના ઘરમાં સૂતા હતા. ત્રણ લોકો હજુ પણ ગુમ છે અને શોધખોળ ચાલુ છે. માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે.
બીજી તરફ, છત્તીસગઢના જશપુર જિલ્લામાં, એક નશામાં ધૂત વ્યક્તિએ પોતાની એસયુવી ધાર્મિક શોભાયાત્રામાં ઘુસાડી દીધી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા અને 22 અન્ય ઘાયલ થયા. પોલીસે બુધવારે આ માહિતી આપી. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને પડોશી સુરગુજા જિલ્લાના અંબિકાપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યારે અન્યને સ્થાનિક સમુદાય આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.

