દેશભરમાં કોરોનાનો પુનરોત્થાન : સક્રિય કેસ 2700ને પાર

દેશભરમાં કોરોનાનો પુનરોત્થાન : સક્રિય કેસ 2700ને પાર

કેરળમાં ઓમિક્રોન JN વેરિઅન્ટ LF.7 નો વધતો પ્રકોપ : મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ : હોસ્પિટલોમાં ટેસ્ટિંગ વધારવા અને સાવચેતી રાખવા અપીલ
દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર ઝડપી વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશભરમાં 2,000 થી વધુ નવા સક્રિય કેસ નોંધાયા છે, અને આ આંકડો હવે 2,710 પર પહોંચી ગયો છે. આ દરમિયાન, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા વેરિઅન્ટને કારણે પ્રથમ મૃત્યુનો કેસ સામે આવતા ગંભીરતામાં વધારો થયો છે. દિલ્હીમાં એક 60 વર્ષીય મહિલાનું દુઃખદ અવસાન થયું છે, જેને COVID-19 સાથે Acute Intestinal Obstruction હતી.

દિલ્હી-NCR માં કોરોનાનો પ્રકોપ :

દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સહિત દિલ્હી-NCR માં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. દિલ્હીમાં એક જ દિવસમાં 56 નવા કેસ નોંધાયા છે, અને સક્રિય કેસની સંખ્યા 200 ને વટાવીને 294 પર પહોંચી ગઈ છે. શુક્રવારે ગુરુગ્રામમાં પણ ત્રણ નવા દર્દીઓ મળી આવ્યા હતા, અને છેલ્લા 10 દિવસમાં શહેરમાં કુલ 16 કોરોના સંક્રમિતો નોંધાયા છે.દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગઈકાલે જણાવ્યું હતું કે દિલ્હીની હોસ્પિટલોમાં કોવિડના 19 દર્દીઓ દાખલ છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જોકે, સતત વધી રહેલા કેસ અને નવા વેરિઅન્ટથી થયેલા પ્રથમ મૃત્યુ પછી, વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ જ કારણ છે કે હોસ્પિટલોમાં પરીક્ષણમાં વધારો કરવામાં આવ્યો છે.

દેશમાં કુલ મૃત્યુ અને વેરિઅન્ટ્સનો ભય:

દેશમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 15 થઈ ગઈ છે, જેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6 મૃત્યુ નોંધાયા છે. ગુજરાતમાં પણ એક મૃત્યુ નોંધાયું છે, જેની વિગતોની રાહ જોવાઈ રહી છે.કેરળમાં સક્રિય કેસની સંખ્યા 727 પર પહોંચી ગઈ છે, જે છેલ્લા એક અઠવાડિયામાં ઝડપથી વધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અહીં ઓમિક્રોનનો JN.1 વેરિઅન્ટ અને તેના પેટા-વેરિયન્ટ્સ જેમ કે LF.7 અને NB.1.8.1 ના કેસ જોવા મળી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ આ નવા પ્રકારોને ‘ચિંતાજનક’ માન્યા નથી, પરંતુ તેમને ‘દેખરેખ હેઠળ રાખવામાં આવેલા પ્રકાર’ (Variants Under Monitoring – VUM) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. WHO અનુસાર, LF.7 અને NB.1.8.1 જેવા નવા વેરિઅન્ટ્સ વધુ ચેપી હોઈ શકે છે પરંતુ તે ગંભીર બીમારીનું કારણ નથી બનતા, ખાસ કરીને રસી લીધેલા લોકોમાં.

રાજ્યવાર સ્થિતિ અને સાવચેતીના પગલા :

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 511 નવા કેસ નોંધાયા છે, જ્યારે 255 લોકો સાજા થયા છે અને 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં 1170 લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 84 નવા કેસ નોંધાયા હતા, જ્યારે રાજસ્થાનમાં 24 કલાકમાં 15 નવા કેસ નોંધાયા હતા. જોકે, મોટાભાગના દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે, જે સામાન્ય શરદી-ખાંસી જેવા છે.આરોગ્ય નિષ્ણાતો દ્વારા લોકોને સાવચેતી રાખવા અને ભીડવાળી જગ્યાઓ ટાળવા, માસ્ક પહેરવા, અને નિયમિત હાથ ધોવા જેવા કોવિડ-યોગ્ય વર્તનને અનુસરવાની સલાહ આપવામાં આવી રહી છે. રસીકરણ અને બૂસ્ટર ડોઝ લેનારા લોકો માટે ગંભીર બીમારીનું જોખમ ઓછું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *