સાંતલપુર કોગ્રેસ પ્રમુખની વરણી મુદ્દે પાર્ટીના કાર્યકરોમાં નારાજગી સાથે કોંગ્રેસ પાર્ટીમાં ભડકો

સાંતલપુર કોગ્રેસ પ્રમુખની વરણી મુદ્દે પાર્ટીના કાર્યકરોમાં નારાજગી સાથે કોંગ્રેસ પાર્ટીમાં ભડકો

100 થી વધુ કાર્યકરોના રાજીનામાં પડતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટું ગાબડું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ વકર્યો છે.સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની વરણી મુદ્દે ભારે અસંતોષ ફેલાતા રાધનપુર અને સાંતલપુરના 100 થી વધુ પદાધિકારીઓ અને કાર્યકરોએ કોંગ્રેસમાંથી સામૂહિક રાજીનામાં આપ્યા છે. સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે પરબતભાઈ આહીરની નિમણૂક કરવામાં આવતા સ્થાનિક સ્તરે વિરોધનો સૂર ઉઠ્યો હતો. કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ આ નિમણૂક સામે હાઈકમાન્ડ અને મહુડી મંડળને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી.

જોકે, સંગઠન દ્વારા આ રજૂઆતોને ધ્યાને ન લેવાતા અને પ્રમુખ પદે ફેરફાર ન કરાતા નારાજ નેતાઓએ આક્રમક વલણ અપનાવી સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે જ રાધનપુર વિધાનસભા વિસ્તારના 100 થી વધુ સક્રિય કાર્યકરો અને મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસ માંથી છેડો ફાડ્યો છે.રાજીનામું આપનારાઓમાં રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ,સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ તેમજ રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાધનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને યુવક કોંગ્રેસના રાધનપુર વિધાનસભા તેમજ તાલુકા પ્રમુખે પણ પોતાના હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધા છે.

સાંતલપુર તાલુકાના કાર્યકારી પ્રમુખે જણાવ્યું હતું કે, રાજીનામું આપવાનું મુખ્ય કારણ એ છે કે ભાજપ સાથે સંકળાયેલા અને ‘સ્લીપર સેલ’ તરીકે કામ કરતા લોકોની સાંતલપુર તાલુકાના સંગઠનમાં નિમણૂક થાય છે, જ્યારે સાચા કાર્યકરોની કદર થતી નથી. તેમણે ચેતવણી આપી હતી કે જો આ નિમણૂક બદલવામાં નહીં આવે, તો આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં કોંગ્રેસને મોટું નુકસાન થશે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *