બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન

બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન

શકિતપીઠ અંબાજી ખાતે સ્વચ્છતા ડ્રાઇવ તથા જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

સફાઈ ઝુંબેશ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી: ઘર, શેરી, ગામ તથા મહોલ્લાને સ્વચ્છ રાખવા તંત્ર દ્વારા કરાઈ અપીલ

સરકારશ્રી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ અંતર્ગત પખવાડીયા ઉજવણીના ભાગરૂપે તા.૨૨/૦૫/૨૦૨૫ થી તા.૦૫/૦૬/૨૦૨૫ સુધી સ્વચ્છતા ત્યાં પ્રભુતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મંત્રને ચરિતાર્થ કરવા સમગ્ર બનાસકાંઠા જિલ્લો સ્વચ્છ બને તેમજ પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બને તે મુજબનું આયોજન હાથ ધરાયું છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વચ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરાયું છે. આજરોજ શકિતપીઠ અંબાજી ખાતે સ્વચ્છતા ડ્રાઇવ તથા જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી, મંદિર સ્ટાફ, ગ્રામ પંચાયત સ્ટાફ સાથે સ્વછતા ડ્રાઇવનું આયોજન કરાયું હતું.

અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ અંબાજી અને અંબાજી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી અભિયાન’ અંતર્ગત દુકાનદારોને પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા બાબતે ચર્ચા કરાઈ હતી. દુકાનદારોને સ્વછતા રાખવા સૂચન કરાયું હતું. અધિક કલેકટર કૌશિક મોદી અને મહાનુભાવોના હસ્તે દુકાનદારોને ગુલાબનું ફૂલ આપીને અંબાજીને સ્વચ્છ રાખવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સફાઈ ઝુંબેશ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી સમજીને આપણું ઘર, શેરી, ગામ તથા મહોલ્લાને સ્વચ્છ રાખવા જરૂરી છે. સ્વચ્છતા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠાના તમામ નાગરિકોને અપીલ કરાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *