મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.

વડાપ્રધાનના માર્ગદર્શનમાં શરૂ થયેલા “કેચ ધ રેઈન” અભિયાન અંતર્ગત જળ સંચય જન ભાગીદારી નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મંત્રીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતેથી રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી અને મહાનુભાવોએ જે.સી.બી અને ટ્રેકટરને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવીને રિચાર્જ કુવાનું ઉદ્દઘાટન કર્યું હતું.

સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનએ ૨૦૧૯માં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળસંચયના કામો ઉપાડ્યાં છે. બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ ૫૦ હજાર રિચાર્જ કૂવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. એમાં બનાસ ડેરીના સહયોગથી ૨૫ હજાર રિચાર્જ કૂવા બનવાના છે. બનાસ ડેરીની આ પ્રતિબદ્ધતા માટે મુખ્યમંત્રીએ શંકરભાઈ ચૌધરી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

ચોમાસાના વહી જતાં પાણીને જળ સંચય અને જળ વ્યવસ્થાપનના પ્રયાસોથી અટકાવીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા, ખેત ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે આપણે કૂવા રિચાર્જ નિર્માણ માટેનું અભિયાન શરૂ કર્યું છે. તેમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતુ.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, દેશમાં ૧૮% પશુઓ છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ પશુઓ છે. આ પશુ તેમજ જીવન સૃષ્ટિ માટે પાણી અગત્યનું પરિબળ છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં ૪% પીવાનું પાણી ઉપલબ્ધ છે. દેશમાં પાણીની વાત કરીએ તો ૭૦૦ પૈકી ૧૫૦ જિલ્લા ડાર્ક ઝોનમાં આવે છે, જેમાં ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા પણ ડાર્ક ઝોનમાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લાને ડાર્ક ઝોનમાંથી બહાર નીકાળવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં છેલ્લા ૧ વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પાણીના બચાવ માટે દેશભરમાં અમૃત સરોવર, નર્મદા યોજના, સૌની યોજના જેવી વગેરે યોજના દ્વારા અવિરત કામ કરવામાં આવી રહ્યું છે. ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલજી કહેતા હતા નદીઓને જોડવી જોઈએ. અટલજીના સ્વપ્નને દેશના વડાપ્રધાન પૂર્ણ કરી રહ્યા છે. નર્મદા, સાબરમતી અને કચ્છની નદીઓ સાથે જોડાણ માટે કામ થઈ રહ્યું છે. સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ત્રણ નદીઓને જોડવા માટે ૭૭ હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાનએ જોયેલ વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ડેમ બનાવવા કરતા “કેચ ધ રેઇન” અંતર્ગત વરસાદનું પાણી સંગ્રહ કરીને ભૂગર્ભ જળમાં પાણીને ફરીથી સંગ્રહ કરવાની તાકીદ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *