ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મંગળવારે હિંમતનગરની મુલાકાતે આવ્યા હતા. સાબરકાંઠા ભાજપ દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં તેમણે હાજરી આપી હતી. આ ઉપરાંત, તેમણે સાંસદ શોભનાબેન બારૈયાના જનસેવા કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વકર્મા નિર્ધારિત કાર્યક્રમ મુજબ હિંમતનગર પહોંચ્યા બાદ બાઈક રેલીમાં જોડાયા હતા. આ રેલી કળશ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા અભિવાદન સ્થળે પહોંચી હતી, જ્યાં જિલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમારોહમાં કાર્યકરોને સંબોધતા પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાએ દેશને વડાપ્રધાન અને સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારાને આગળ વધારવા માટે નેતૃત્વ પૂરું પાડ્યું છે, જેણે સમગ્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશને પણ દિશાસૂચન કર્યું છે. તેમણે દિલ્હીમાં બનેલી દુર્ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી હતી અને વડાપ્રધાનના ગુનેગારોને નહીં છોડવાના નિર્ણયને આવકાર્યો હતો. મૃતકોના માનમાં મૌન પણ પાળવામાં આવ્યું હતું. જગદીશ વિશ્વકર્માએ સાબરકાંઠાના કવિ ઉમાશંકર જોષી, સ્વ.ગુલઝારીલાલ નંદા, અરવિંદ ત્રિવેદી અને શાંતિગીરી મહારાજના કાર્યોને બિરદાવ્યા હતા. તેમણે ચિત્રવિચિત્ર મેળાને સાબરકાંઠા જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યની ઓળખ ગણાવ્યો હતો અને સહકારી અગ્રણીઓની ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.
Beta feature


