પદયાત્રી સંઘોની સરળ અને પારદર્શક નોધણી માટે અદ્યતન પોર્ટલ: સંઘોની મંજૂરી તથા વાહન પાસ સહિત વિશેષ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે. ચાલુ વર્ષે પદયાત્રી સંઘોની નોધણી પ્રક્રિયા અંબાજી મંદિરની ઓફિશિયલ વેબસાઈટ https://ambajitemple.in/bhadarvi-poonam મારફત શરૂ કરવામાં આવી છે.
અધ્યક્ષ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં પદયાત્રી સંઘોની સરળ અને પારદર્શક નોધણી માટે અદ્યતન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફતે પદયાત્રી સંઘો વિનામૂલ્યે ઘરે બેઠા ઓનલાઈન નોધણી કરી શકે છે. પોર્ટલ પર નોધાયેલ સંઘોની વિગતોની ચકાસણી બાદ પ્રાંત અધિકારી, દાંતાની કચેરી દ્વારા પદયાત્રી સંઘોને મંજૂરી તથા વાહન પાસ પણ ઓનલાઈન આપવામાં આવશે. આ સાથે જ પદયાત્રી સંઘના કોમર્શિયલ તેમજ પ્રાઈવેટ વાહનો માટે વિશેષ પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ પદયાત્રી સંઘોએ આ સગવડનો લાભ લઈ વેબ પોર્ટલ ઉપર પોતાના સંઘની નોંધણી અવશ્ય કરાવવા અંબાજી મંદિરના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

