પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગલુરુની નમ્મા મેટ્રો યલો લાઇનનું ઉદ્ઘાટન કરશે. મેટ્રોની યલો લાઇન તેની નિર્ધારિત સમયમર્યાદા 15 ઓગસ્ટ પહેલાં કાર્યરત થઈ જશે. આરવી રોડથી બોમ્માસંદ્રા સુધીના આ 19.15 કિમી લાંબા સેક્શનથી શહેરના લોકો માટે મુસાફરી ઘણી સરળ બનશે તેવી અપેક્ષા છે.
યલો લાઇનમાં 16 સ્ટેશન છે. તેમાં આરવી રોડ, રાગી ગુડ્ડા, જયદેવ હોસ્પિટલ, બીટીએમ લેઆઉટ, સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, બોમ્માના હલ્લી, હોંગારા સાન્દ્રા, કુડલુ ગેટ, સિંગા સાન્દ્રા, હોસા રોડ, બેરેટ્ટા અગ્રાહરા, ઈલેક્ટ્રોનિક સિટી, ઈન્ફોસીસ ફાઉન્ડેશન કોનપ્પના અગ્રાહરા, હુસ્કુર રોડ, હેબ્બા ગોડી અને બોમસદ્રાનો સમાવેશ થાય છે.
બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) અનુસાર, આ ટ્રેનો દરરોજ સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી દોડશે. શરૂઆતમાં, ત્રણ ડ્રાઇવર વિનાની ટ્રેનો 25 મિનિટના અંતરાલથી દોડશે. ભાડું 10 રૂપિયાથી શરૂ થશે અને મહત્તમ 90 રૂપિયા સુધી જશે.

