બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT) ના મુખ્ય ફરિયાદીએ ગુરુવારે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સામે કડક કાર્યવાહીની માંગ કરી, જેમના પર ગયા વર્ષના લોકપ્રિય બળવા દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓ અને સામૂહિક હત્યાકાંડનો આરોપ છે. ફરિયાદી મોહમ્મદ તાજુલ ઇસ્લામે હસીનાને “બધા ગુનાઓનો મુખ્ય સૂત્રધાર” ગણાવ્યો અને તેમના માટે મૃત્યુદંડની માંગ કરી. વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના વિશાળ વિરોધ પ્રદર્શન બાદ ઓગસ્ટ 2024 માં 78 વર્ષીય શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયના અહેવાલ મુજબ, 15 જુલાઈથી 15 ઓગસ્ટ, 2024 દરમિયાન હસીના સરકાર દ્વારા આદેશ આપવામાં આવેલા સુરક્ષા દળોના ઓપરેશનમાં આશરે 1,400 લોકો માર્યા ગયા હતા. મુખ્ય ફરિયાદી તાજુલ ઇસ્લામે બાંગ્લાદેશ ન્યૂઝ સર્વિસ (BSS) ને જણાવ્યું હતું કે, “શેખ હસીના બધા ગુનાઓની મુખ્ય સૂત્રધાર છે. તે એક નિર્દય ગુનેગાર છે અને તેના કાર્યો માટે કોઈ પસ્તાવો નથી કરતી. તેને મહત્તમ સજા મળવી જોઈએ. મૃત્યુદંડના કિસ્સામાં તેને કોઈ દયા ન બતાવવી જોઈએ.”
ઇસ્લામે વધુમાં કહ્યું, “૧,૪૦૦ લોકોની હત્યા કરવા બદલ તેમને ૧,૪૦૦ વાર ફાંસી આપવી જોઈતી હતી. કારણ કે તે શક્ય નથી, તેથી મહત્તમ સજા જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ પોતાના દેશવાસીઓને આ રીતે મારી ન શકે.” દરમિયાન, હસીનાના સમર્થકો કહે છે કે તેમના પરના આરોપો રાજકીય બદલોથી પ્રેરિત છે. જો કે, આ બાબતે હસીના કે તેમના પક્ષ, અવામી લીગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ફરિયાદીએ તત્કાલીન ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલ માટે પણ સજાની માંગણી કરી હતી. તેમણે કમાલને જુલાઈ-ઓગસ્ટ 2024ના જન આંદોલનને દબાવવા માટે જવાબદાર “ગેંગ ઓફ ફોર”નો ભાગ ગણાવ્યો હતો. વધુમાં, ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ-મામુને પોતાનો ગુનો કબૂલી લીધો છે અને કેસમાં સરકારી સાક્ષી બન્યા છે. ફરિયાદીએ કહ્યું કે મામુનની સજાનો નિર્ણય ટ્રિબ્યુનલ પર છોડી દેવામાં આવ્યો છે.

