ફરિયાદીને સંતોષ એજ અમારી પ્રાથમિકતા : આઈજી પરીક્ષિતા રાઠોડ
સાઇબર ફ્રોડ, નાર્કોટિકસ અને પ્રોહીબિશનના દુષણો દૂર કરવાના પ્રયાસો કરાશે
સરહદી બનાસકાંઠા જિલ્લામાં નવી રચાયેલી પોલીસ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ (IG) તરીકે આજે આઇપીએસ પરીક્ષિતા રાઠોડે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. તેઓએ પોલીસની કામગીરી સામે ફરિયાદીને સંતોષને પ્રાધાન્ય આપતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાની ખાત્રી આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા ખાતે નવી પોલીસ રેન્જ ઉભી કરાઈ છે. ત્યારે બનાસકાંઠા પોલીસ રેન્જના નવનિયુક્ત મહિલા આઈજી પરીક્ષિતા રાઠોડે આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. પાલનપુર શહેરના કમાલપુર વિસ્તારમાં આવેલ નવીન આઈજી કચેરી કાર્યરત કરવામાં આવી છે. જેને આઈજી પરીક્ષિતા રાઠોડે રીબીન કાપી ખુલ્લી મૂકી હતી. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુક્ત આઈજી પરીક્ષિતા રાઠોડે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા ગુનાખોરી ઉપર અસરકારક નિયંત્રણ માટે પોલીસ તંત્રને સજ્જ રાખવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે નવી રેન્જ હેઠળ આવતા બનાસકાંઠાના એસ.પી. પ્રશાંત સુંબે, વાવ-થરાદ જિલ્લાના એસ.પી ચિંતન તરૈયા અને પાટણ એસ.પી. વી.કે.નાઈ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ નવા આઈજીને અવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.
ફરિયાદીને સંતોષને પ્રાધાન્ય
સરહદી બનાસકાંઠા રેન્જના પ્રથમ મહિલા આઈજી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, તેઓ પાટણ અને કચ્છ ઇસ્ટ એસ.પી તરીકે ફરજ બજાવી ચુક્યા હોઈ સરહદી રેન્જની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિથી પોતે માહિતગાર છે. તેઓએ પોલીસની કામગીરીને લઈને ફરિયાદીને સંતોષાય થાય તેને પ્રાધાન્ય આપવાની સાથે સાઇબર ફ્રોડ, નારકોટિક્સ અને પ્રોહીબિશનના દુષણ સામે કડક હાથે કામ લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાની ખાત્રી આપી હતી.
સરહદી બનાસકાંઠા રેન્જના પ્રથમ આઈજી
નવી રચાયેલી બનાસકાંઠા પોલીસ રેન્જના પ્રથમ આઈજી પરીક્ષિતા રાઠોડ બન્યા છે. નવી રેન્જનું મુખ્ય મથક પાલનપુર બન્યું છે. જેની કચેરી પાલનપુરના કમાલપુરા, દિલખુશાલ બાગ ખાતે કાર્યરત કરાઈ છે.
રેન્જ હેઠળના જિલ્લાઓ
– બનાસકાંઠા
– વાવ-થરાદ
– પાટણ
કાયદો હાથમાં ન લેવા અનુરોધ
બનાસકાંઠા રેન્જના આઈજી પરીક્ષિતા રાઠોડે પ્રજાજનો જોગ સંદેશામાં જણાવ્યું હતું કે, બોર્ડર એરિયામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકો ખોટી અફવાઓથી દૂર રહે તેવી અપીલ કરતા તેઓએ કાયદો હાથમાં ન લેવાનો અનુરોધ કરતા પોલીસ અને પ્રજા વચ્ચે વધુ વિશ્વાસ કેળવાય તેવો પ્રયાસ કરવા પર ભાર મુક્યો હતો. તેઓએ રેન્જ કચેરીનો સ્ટાફની નિમણૂંક ડીજીપી કક્ષાએથી કરશે તેવું જણાવ્યું હતું.



