હીટવેવ દરમિયાન વિશેષ કાળજી રાખવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ 

હીટવેવ દરમિયાન વિશેષ કાળજી રાખવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ 

પશુ-પંખીઓને શેડની નીચે છાયડામાં રાખવા તથા પૂરતા પ્રમાણમાં પાણી આપતા રહેવું

લોકોએ પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો

ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જે મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે જેથી શરીરમાં સનસ્ટ્રોક (લુ) લાગવાની શક્યતા ઘણી વધારે છે. જાહેર જનતાના હિતાર્થ સન સ્ટ્રોક (લુ) થી બચવા અંગે મામલતદાર ડિઝાસ્ટર બનાસકાંઠા પાલનપુર દ્વારા કેટલાક સુચનો અનુસરવા અનુરોધ કરાયો છે.

ઉનાળાની ઋતુ દરમિયાન હિટવેવની સંભાવનાઓને જોતાં હિટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેમાં કોઈએ ખાસ કરીને બપોરના ૨ થી ૪ કલાક સુધી બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સરકાર દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું. વારંવાર પાણી, લીંબુ શરબત, છાસ પૂરતા પ્રમાણમાં પીવા જોઈએ. આ સાથે ફળ, શાકભાજી અને સલાડ લેવાનું રાખવું જોઈએ. જો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું થાય તો શરીર અને માથું ઢાંકીને રાખવું, મહત્તમ શરીર ઢંકાય તેવા વજનમાં હલકા સુતરાઉ કાપડના હળવા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. શરીરના ખુલ્લા રહેતા ભાગ પર એસ.પી.એફ.સનસ્ક્રીન લોશન લગાવવું. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધ નાગરિકો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ.આ ઉપરાંત સીધા સુર્યપ્રકાશથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરવો અને ખુલ્લા પગે બહાર ન નીકળવું.

કામના સ્થળ પર ઠંડા પાણીની વ્યવસ્થા રાખવી. સખત પરિશ્રમ વાળું કામ કરવાનું ટાળો અથવા બંધ રાખો અને ઠંડા પહોરમાં કામ કરવાનું આયોજન બનાવો. ઘરમાં જે શક્ય ન હોય એવું કામ ઠંડા સ્થળે અથવા છાંયડામાં રહીને કરી શકાય. બહાર કામ કરવાવાળાએ વારેવારે લાંબો આરામ લેવો. કામદારો સૂર્યના સીધા તાપમાં કામ ન કરે તેની સાવધાની રાખવી. સગર્ભા કામદારો પર વધારે ધ્યાન આપવું. પશુ-પંખીઓને શેડની નીચે છાયડામાં રાખવા અને પીવા માટે પૂરતા પ્રમાણમાં પાણી આપતા રહેવું. બાળકો અને પાળેલા પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં એકલા છોડવા નહિ.

ગરમીના દિવસોમાં માથાનો દુઃખાવો, સ્નાયુ ખેંચાવું, શરીર પર ફોલ્લી થવી, કમજોરી આવવી, શરીરનું તાપમાન ખુબ વધી જવું, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલટી-ઉબકા થવા, ચક્કર આવવા, આંખે અંધારા આવી જવા, પરસેવો થવું, શરીર જકડાઈ જવું, બેભાન થઈ જવું, મૂંઝવણ થવી અને અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ લૂ લાગવાના મુખ્ય લક્ષણો છે. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર કે ૧૦૮ સેવાનો સંપર્ક સાધવો જોઈએ તેમ મામલતદાર ડિઝાસ્ટર બનાસકાંઠા પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *